કોંગ્રેસમાં ક્યા ટોચના 5 નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની ચાલી રહી છે વિચારણા ? જાણો વિગત
હાલ સોશિયલ મીડિયામાં પ્રથમ તબક્કા માટેની કોંગ્રેસની યાદી વાયરલ થઈ છે, જેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, ભાવનગર દક્ષિણમાં શક્તિસિંહ ગોહિલ, વ્યારામાંથી તુષાર ચૌધરી, ડભોઈમાંથી સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડશે, તેવું કહેવાયું છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર પડધમ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સમયે કોંગ્રેસમાં મહત્વના ગણાતા પાંચ નેતાઓને ચૂંટણી નહીં લડાવવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આની પાછળનો તર્ક એવો છે કે, તેઓ જો ચૂંટણી લડે તો તેમને પોતાના મતવિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જેને કારણે તેઓ અન્ય જગ્યાએ પ્રચારમાં ધ્યાન ઓછું આપી શકે. જોકે, ચૂંટણી લડશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે.
પાર્ટીમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડવાના છે, પરંતુ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે, આ પાંચ નેતાઓ જો વિધાનસભાની ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકે તેમ છે. આ પાંચ નેતાઓને માથે આખા ગુજરાતની જવાબદાર હોવાથી ચૂંટણીથી દૂર રહેવા કહેવાયું છે.