સસરાની મફતમાં સારવારના વિવાદને શમાવવા જીતુ વાઘાણીએ આપ્યું કેટલું દાન ? જાણો વિગત
પત્રમાં તેમણે લખ્યું છે કે, મેં તમને ફોન કર્યો હતો અને જાણવા મળ્યું કે, તમે નિયમો મુજબ જ કામ કર્યું છે અને સારવાર આપી છે. જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય તે સ્વાભાવિક છે અને હું દર્દીઓના લાભાર્થે કેન્સર સોસાયટી દ્વારા જે સેવા અપાય છે તેના માટે 1 લાખ રૂપિયાનો ચેક મોકલી રહ્યો છું.
GCRLના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, વાઘાણી તરફથી તેમને એક લાખ રૂપિયાનો ચેક મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બીલ માફી નિયમો મુજબ જ કરાઈ હતી. વાઘાણીએ GCRLના ડાયરેક્ટરને પત્ર લખીને જણાવ્યું હતું કે, ને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, મારા સસરાની સારવારમાં મારી ઓફિસ અને સરકાર દ્વારા કરાયેલી ભલામણને ખોટી રીતે લેવાઇ છે.
અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના સસરાની સારવારનું બિલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા માફ કરાતા વિવાદ સર્જાયો હતો. ત્યારે વાઘાણીએ આ વિવાદને શાંત કરવા માટે હોસ્પિટલને એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે. જીતુભાઈએ સ્થિતિ સ્પષ્ટ કરતા દાવો કર્યો કે, હોસ્પિટલે નિયમોનું પાલન કર્યું હતું.
આ અંગે ભારે વિવાદ થતાં મીડિયામાં પણ આ બાબતે ચર્ચા થઈ હતી. ત્યારે વાઘાણીએ હોસ્પિટલને 1 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. તેમણે પોતાનો પ્રતિનિધિ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRL) ખાતે મોકલીને એક લાખનો ચેક સુપ્રત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વાઘાણીના સસરા અંબાલાલ ખંભાળિયાએ સિવિલ હોસ્પિટલમાં મોંના કેન્સરની સારવાર કરાવી હતી. તેમની સિવિલમાં 20 દિવસ વીવીઆઈપી ટ્રિટમેન્ટ ચાલી હતી અને જેનું 52,518 રૂપિયા બીલ આવ્યું હતું. જોકે, હોસ્પિટલે તેમની પાસેથી માત્ર 175 રૂપિયા જ લીધા હતા અને બાકીનું બિલ માફ કરી દીધું હતું.