અલ્પેશ કથીરિયાને જેલમાં જ કરવી પડશે દિવાળી, જામીન અરજી પર ક્યારે આવશે ચુકાદો? જાણો
અમદાવાદઃ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે. આ મામલે હવે 19મી નવેમ્બરના રોજ ચુકાદો આવવાનો છે. જેને કારણે અલ્પેશ કથીરિયાને જેલમાં જ દિવાળી ઉજવવી પડશે.
આ ઉપરાંત હાલ કેસની તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ દાખલ થઈ નથી, ત્યારે અલ્પેશને હાલ જામીનના આપવા જોઈએ તેવી સરકારે રજુઆત કરી હતી. હવે બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ 19મીએ શું ચુકાદો આપે છે, તેના પર સૌની નજર છે.
હાઈકોર્ટમાં અલ્પેશ કથિરીયાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે કિન્નાખોરીમાં કેસ કર્યા છે. અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માંગ કરી હતી, રાજદ્રોહ નથી કર્યો. સરકારે અનામત આંદોલન વખતના 45માંથી 39 કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલ દ્વારા જણાવાયું હતું.
બીજી તરફ સરકાર દ્વારા અલ્પેશની જામીન અરજીનો વિરોધ કરાયો હતો. સરકારે રજૂઆત કરી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ આખા ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. હિંસા તેમજ તોડફોડ થઈ હતી. લોકોને ભડકાવે તેવા અલ્પેશ ભાષણ આપ્યા હતા. ટેલિફોનિક કન્વર્ઝેશનના રેકોર્ડિંગ હોવાની સરકાર તરફથી રજૂઆત થઈ હતી.