હાર્દિક પટેલને ફીટ કરવા તેના એક સમયના ખાસ મિત્રનો ભાજપ સરકારે કર્યો ઉપયોગ, જાણો વિગત
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર કેતન પટેલને રાજદ્રોહના કેસમાં મુક્ત કરવામાં આવ્યો છે. કેતન પટેલને મુક્ત કરીને ભાજપ સરકારે હાર્દિક પટેલને કાયમ માટે ફીટ કરી દેવાનો તખ્તો તૈયાર કર્યો છે અને તેને રાજદ્રોહના કેસમાં સજા થાય તેવી શક્યતા વધી ગઈ છે.
જેલમાંથી બહાર નીકળ્યા પછી કેતન પટેલ અને ચિરાગ પટેલે હાર્દિક સાથે છેડો ફાડી નાંખ્યો હતો. આ વાત આટલેથી અટકી નહોતી. કેતન અને ચિરાગે હાર્દિકને બોલાવ્યા વગર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાનનો માટે એક કાર્યક્રમ પણ રાખ્યો હતો. હવે કેતન પટેલને સરકારી સાક્ષી બનાવવાની વાત થઇ રહી છે, ત્યારે આ વાત હાર્દિકને મોટો ફટકો પડ્યો છે તેમ કહી શકાય.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેના પાંચ સાથીઓ પર રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો અને તેમને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. રાજદ્રોહના કેસમાંથી મુક્ત થયેલો કેતન પટેલ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનો અંગત મિત્ર હતો. આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ સહિત છ પાસના કન્વીનરો પર રાજદ્રોહનો ગુનો દાખલ થતાં તેમને જેલ જવું પડ્યું હતું.
કેતન પટેલે કરેલી અરજી સેશન્સ કોર્ટે મંજૂર રાખી છે. કેતન પટેલને સરકારી સાક્ષી બનાવવામાં આવશે. જે જોતાં હાર્દિક પટેલનો એક મોટો ફટકો પડ્યો છે. કેતન પટેલ હાર્દિક સામેના કેસમાં જુબાની આપશે અને અન્ય પુરાવા પણ આપશે. તેના આધારે હાર્દિકને રાજદ્રોહના કેસમાં સજા કરાવવાનો ભાજપનો પ્લાન છે.