અમદાવાદઃ PSI અને કોન્સ્ટેબલે પાટીદાર યુવકને માર્યો માર, નોંધાઇ ફરિયાદ

અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર મચાવનારા મહેસાણાના યુવક કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલો હજુ સુધી શાંત નથી થયો ત્યારે વધુ એક પાટીદાર યુવક પોલીસ દમનનો ભોગ બન્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવા માટે ગયેલા પાટીદાર યુવકને પીએસઆઇ તથા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકના ડંડાથી માર માર્યો હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
નવા નરોડા વિસ્તારમાં આવેલા પંચ કુટિર ફ્લેટમાં રહેતા સંદીપકુમાર મહેન્દ્રભાઇ પટેલ ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. 10 દિવસ અગાઉ સંદીપ પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની અરજી કરી હતી.
નરોડા પોલીસ પીએસઆઇ અને કોન્સટેબલ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ઝોન-૪ના ડીસીપી પરિક્ષિતા રાઠોડે જણાવ્યું કે પીએસઆઇ અસારી અને કોન્સ્ટેબલ અશોક વિરુદ્ધ ફરિયાદ કરીને તપાસ શરૂ કરી છે અને તેમની સામે ખાતાકીય તપાસ સિવાય પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સંદીપે જેમની સામે આક્ષેપ કર્યો છે, પીએસઆઇ અસારીએ સામે અગાઉ પણ આવી ફરિયાદ થઇ ચૂકી છે. કોન્સ્ટેબલ અશોકભાઇ સામે પણ કસ્ટોડિયલ ડેથનો ગુનો દાખલ થયેલો છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંદીપે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. મોડી રાત્રે નરોડા પોલીસે હોસ્પિટલમાં જઇને પીએસઆઇ અસારી તેમજ કોન્સ્ટેબલ અશોક વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી. સંદીપે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો અને પોલીસ કર્મીઓએ મને આરોપીની જેમ ફટકાર્યો હતો. મોડી રાત્રે ફરિયાદ કરવા માટે સિવિલ હોસ્પિટલના પોલીસ ટેબલ પર ફરિયાદ કરી ત્યારે 10 કરતાં વધુ પોલીસ કર્મીઓ સમાધાન કરવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા.
દરમિયાન ડી સ્ટાફ ઓફિસમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ પ્લાસ્ટિકનો ડંડો લઇને સંદીપ પર તૂટી પડ્યા હતા. અસારી તેમજ કોન્સ્ટેબલ અશોકભાઇએ ગડદાપાટુંનો માર મારી આ અંગે કોઇ ફરિયાદ નહીં કરવાની પણ ધમકી આપી હોવાનું સંદીપે ફરિયાદમાં જણાવ્યું છે.
જોકે, પોલીસે ગુનો નહીં નોંધતાં મંગળવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ ઓફિસમાં પીએસઆઇ એ.એસ.અસારીને મળવા માટે ગયા હતા.અરજી પર શું કાર્યવાહી કરી તે અંગે પૂછતાં પીએસઆઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યુ હતું કે અરજીની તપાસ મારે કરવાની છે. તું મારો સાહેબ નથી એમ કહી પીએસઆઇ અસારીએ સંદીપને લાફો મારી દીધો હતો.