CRIME NEWS: વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં સમાજના કલંકરૂપ ઘટના સામે આવી છે. એક વૃદ્ધે હેવાન બની કાળુ કામ કર્યું છે.  ૬૨ વર્ષના હવસખોરે મંદ બુદ્ધિ યુવતી દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર યુવતી મંદબુદ્ધિ અને પરિણીત હતી પરંતુ છુટાછેડા બાજ પિયરમાં રહેતી હતી. 


સેજાકુવા ગામના મથુર નામના આધેડે મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. એટલું નહીં યુવતીને ઢોર માર મારી નાક પર ફેક્ચર કરી શરીરે ઇજાઓ પણ પહોંચાડી હતી. યુવતી મદદ માટે બુમો મારતી રહી અને આધેડ યુવતીને માર મારતો રહ્યો. હાલમાં યુવતીને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત


રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને ઘણા લોકો આપઘાત કરી ચૂક્યા છે. જો કે, હજી પણ રાજ્યમાં વ્યાજખોરોનો આતંક અટક્યો નથી. હવે અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોરોનાકાળમાં મિનરલ વોટર પ્લાન્ટનો ધંધો ઠપ્પ થતા યુવકે વ્યાજે રુપિયા લીધા હતા. જો કે યુવકે 10 લાખ રુપિયા આપી દીધા હોવા છતા 8 લાખ વધુ માંગતા યુવકે આપધાત કરી લીધો. હવે આ મામલે પોલીસે 3 લોકો સામે આત્મહત્યા અને દુશ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


18 વર્ષની પુત્રીએ ચોંકાવનારુ પગલું ભર્યું



જેતપુર તાલુકાના ચારણીયા ગામમાં યુવતીએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર યુવતીના માતા પિતા બહાર ગામ ગયા હતા અને પાછળથી યુવતીએ મોતને વહાલું કરી લીધું. આપઘાત કરનાર યુવતીનું નામ જાનકી રાજુભાઇ રાઠોડ છે. 18 વર્ષની જાનકીએ ક્યા કારણે આપઘાત કર્યો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે જેતપુર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.


સગીર વિદ્યાર્થીની પર અનેક વાર દુષ્કર્મ કરનાર શિક્ષકને 20 વર્ષની સજા
ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે.