Crime News: ભાવનગરના સિહોર તાલુકાના સણોસરા ગામે સાવકા પિતાએ જુવાન જોધ દીકરાની હત્યા કરી નાખી છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા ઉગ્ર થયેલા સાવકા પિતાએ આવેશમાં આવી કિશન હાવળિયા નામના દિકરાની માથામાં બોથડ પદાર્થ વડે જીવલેણ ઉમલો કરી હત્યા કરી નાખી છે. આ ઘટનાને લઈ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.


આ અંગે વિગતે વાત કરીએ તો, ભાવનગરના શિહોર તાલુકામાં આવેલ સણોસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં મનસુખ હાવળિયા નામના સાવકા પિતાએ તેના પુત્રને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઉમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેનું બે દિવસ પહેલા સિહોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાદ વધું સારવાર માટે ભાવનગર સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. મારીમારીની ઘટના હત્યામાં પરિણમતા સોનગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે.


નવસારીમાં ઓનર કિલીંગની આશંકા?


નવસારીના ઓનર કિલિંગની આશંકાના કેસમાં આજે મૃતક યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.  પ્રેમી બ્રિજેશ પટેલની ફરિયાદ બાદ સુરત રેન્જ આઈજીએ પોલીસને તપાસના આદેશ કરતા મંગળવારના પોલીસે કલથાણના કબ્રસ્તાનમાંથી પંચોની હાજરીમાં યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યાંથી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાત્રીના સુરત લવાયો હતો. આજે નિષ્ણાંતોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. હાલ જલાલપોર પોલીસમાં જાણવાજોગ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. નવસારીમાં યુવતીના મોતના રહસ્ય પરથી આજે પડદો ઉઠશે.


નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે યુવતીની હત્યા કે આત્મહત્યાની આશંકાના મુદ્દે રેન્જ આઈજીને થયેલી ફરિયાદના પગલે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કલથાણ ગામેથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલવામાં આવ્યો હતો.  મૂળ અબ્રામા ગામની યુવતી અને ખેરગામના યુવાન બ્રિજેશ પટેલ વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ આંતર જ્ઞાતિય લગ્ન બાબતે વિવાદો થતા યુવતીને પરિવારના સભ્યો પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવતી ગુમ થયાની વાતો બહાર આવી હતી સમગ્ર ઘટનાક્રમને પગલે પ્રેમી યુવાન બ્રિજેશ પટેલ દ્વારા સુરત રેન્જના આઈ.જી પિયુષ પટેલને અરજી આપવામાં આવી હતી અને જેના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં વિવિધ આશંકાઓને પગલે કોર્ટની મંજૂરી મેળવીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પેનલ પીએમ કરવા માટે સુરત મોકલવામાં આવ્યો હતો.  

યુવતી દ્વારા આત્મહત્યા પહેલા લખવામાં આવેલી સુસાઇડ નોટની પણ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે એમાં ખાસ કરીને યુવતીના પોતાના હાથે લખવામાં આવેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. પેનલ પીએમમાં યુવતીની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરાશે. સાથે યુવતીના પરિવારના સભ્યો સામે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.