SURAT : દેશમાં જ્યારથી ત્રિપલ તલાકનો કાયદો અમલી બન્યો છે ત્યારથી મુસ્લિમ મહિલાઓમાં જાગૃતતા આવી છે. અને આથી જ ત્રિપલ તલાકનો ભોગ બનનારી મુસ્લિમ મહિલાઓ હવે   ત્રિપલ તલાકના કાયદાને આધારે પોતાની સાથે થયેલા અન્યાય સામે ન્યાયની માંગણી કરવા આગળ આવે છે. પણ હવે અસામાજિક તત્વોએ ત્રિપલ તાલાકના કાયદાથી બચવા ‘છટકબારી’ શોધી લીધી છે. આને લગતી એક ઘટના સુરતમાં સામે આવી છે, જે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. 


નરાધમે  કેવી રીતે  કાયદાને આપી હાથતાળી? 
પત્નીને સરળતાથી ત્યજી દે અને બાદમાં ત્રિપલ તલાક કાયદાનો સામનો પણ ન કરવો પડે અને પોતાની મેલી મુરાદ પણ પુરી થાય તે માટે એક નરાધમે નવી મોડ્સ ઓપરેન્ડી સાથે મહિલા પર  દુષ્કર્મ આચર્યું છે. 


વલસાડના એક શખ્સ કમરૂઝમાં કુરેશીએ લગ્ન કરવાની લાલચ આપી એક યુવતીને અલગ અલગ હોટલોમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું. આરોપી લગ્ન કરવાની લાલચે ભોગ બનનાર યુવતી પર દુષ્કર્મ આચરતો, પણ ત્રિપલ તલાકના કાયદાનો સામનો ન કરવો પડે એ માટે શરિયત મુજબ યુવતી સાથે લગ્ન  કરતો ન હતો. 


યુવતીને પેટમાં દુઃખાવો થતા મામલો સામે આવ્યો
ભોગ બનનાર યુવતીને પેટમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં આરોગ્ય તપાસ  કરાવી હતી, જેમાં જાણવા મળ્યું કે આ યુવતી ગર્ભવતી બની છે.  આરોપીએ ત્રિપલ તલાક કાયદાથી બચવા યુવતી સાથે શરિયત મુજબ લગ્ન ન કર્યા અને આમ છતાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને યુવતીને ગર્ભવતી બનાવી છોડી દીધી. આખરે સમગ્ર મામલો સામે આવતા ભોગ બનનાર યુવતીએ સુરતના કામરેજ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


"બળાત્કાર હત્યા કરતા પણ વધુ જઘન્ય ગુનો છે"
મુંબઇNI એક વિશેષ પોક્સો કોર્ટે તાજેતરમાં જ એક 28 વર્ષીય વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ 15 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કારનો પ્રયાસ કરવાના આરોપમાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટે સજા ફટકારતા અવલોકન કર્યું હતું કે બળાત્કાર હત્યા કરતા પણ વધુ જઘન્ય છે કારણ કે તે એક અસહાય મહિલાની આત્માનો નાશ કરે છે. સુનાવણી દરમિયાન આ કેસના બીજા આરોપીનું મોત થયું હતું.