સુરત: કર્ણાટકના કોલાર સિટીમાં કરોડો રૂપિયાની સોનાની છેતરપિંડી આચરનાર આરોપીઓની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી છે. હાલ સુરત ક્રાઈમબ્રાન્ચે બંન્ને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.


સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્મા કર્ણાટકના કોલાર સિટીમાં જ્વેલરીની દુકાન ધરાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી સોનું ગીરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. બંને KGF ખીણમાંથી નીકળતું સોનું લઇને તેની ઉપર પોતાનું કમિશન લઇને દેશના અન્ય શહેરોના ગોલ્ડના વેપારીઓને વેચતા હતા. 


સોનું લઇને છેલ્લા એક વર્ષથી કર્ણાટકથી ફરાર થઇ ગયા હતા


આ બંને સંખ્યાબંધ લોકોનું સોનું લઇને છેલ્લા એક વર્ષથી કર્ણાટકથી ફરાર થઇ ગયા હતા. તેમની સામે કર્ણાટકના KGF પોલીસ સ્ટેશન અને અન્ય જગ્યાએ છેતરપિંડીના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. કર્ણાટક પોલીસ છેલ્લા ઘણા સમયથી તેઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન આ બંને(દેવેશ દધિચી અને રૂપેશ શર્મા) સુરતમાં હોવાની કર્ણાટક પોલીસને બાતમી મળી હતી. જેથી કર્ણાટક પોલીસે આ ઠગોને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી.


સુરત  ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી હતી. આ બંને છેલ્લા એક વર્ષથી સુરત ભાડાના મકાનમાં રહેતા હતા અને ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ રાજસ્થાનના અજમેરના મૂળ રહેવાસી હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચને જણાવી હતી. હાલ તેઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.


ખેડામાં પિતાપુત્રીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર


કપડવંજ રત્નાકર રોડ ઉપર આવેલા વિશ્વાસ આર્કેડમાં કરુણાંતિકા સર્જાઈ છે. કોઈ અગમ્ય કારણસર પિતાપુત્રીએ આપઘાત કરી લીધો છે.  ભાવિક અરવિંદભાઈ પટેલ તથા તેમની નવ વર્ષની દીકરી જોલીએ આત્મહત્યાનું પગલું ભરતા સમગ્ર કપડવંજ પંથકમાં મારે ચકચાર મચી છે. ઘરમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ દર્શાવેલ નથી. હવે અમે આ દુનિયામાં રહેવાના નથી તેવો માત્ર ઉલ્લેખ કર્યો છે. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર ચૌધરી તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.