Ahmedabad murder mystery solved: અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલાં થયેલી એક મહિલાની હત્યાનો ભેદ આખરે ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. વર્ષ 1992માં કુતુબનગર વિસ્તારમાં થયેલી આ હત્યામાં મહિલાના હાડપિંજરના ડીએનએ (DNA) રિપોર્ટ તેના ભાઈ સાથે મેચ થતાં પોલીસે હત્યાનો ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરી છે, જ્યારે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓના અગાઉ જ મોત થઈ ચૂક્યા છે. પત્ની દેહવ્યાપારનું કામ બંધ ન કરતી હોવાથી કંટાળીને પતિએ તેની હત્યા કરી લાશને ખાડામાં દાટી દીધી હતી.
આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વર્ષ 1992માં વટવાના કુતુબનગર વિસ્તારના પ્લોટ નંબર 10માં ફરઝાના નામની એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના મૃતદેહને સગેવગે કરવા માટે ઘરમાં જ ખાળકૂવા જેવા 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો. વર્ષો બાદ આ કેસની તપાસ દરમિયાન પોલીસને હાડપિંજર મળી આવ્યું હતું. હત્યાનું પગેરું મેળવવા માટે પોલીસે ફરઝાનાના વતન ધોળકા જઈને તેના પરિવારજનોના નિવેદન લીધા હતા. આખરે ફરઝાનાના ભાઈના DNA સેમ્પલ હાડપિંજર સાથે મેચ થઈ જતાં આખી મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકાયો હતો.
પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફરઝાના દેહવ્યાપાર સાથે જોડાયેલી હતી. તેનો પતિ સમસુદ્દીન વારંવાર કહેવા છતાં તે આ કામ છોડવા તૈયાર નહોતી. આ જ વાતને લઈને કંટાળી ગયેલા સમસુદ્દીને અદાવત રાખીને પોતાના ભાઈ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને પત્નીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો.
સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા
પ્લાન મુજબ, 34 વર્ષ અગાઉ મોડી રાત્રે આરોપીઓએ ભેગા મળીને ફરઝાનાને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે સાલીયા બીબી નામના અન્ય એક આરોપીના મકાનમાં 20 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેના મૃતદેહને અંદર દાટી દીધો હતો.
હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મુખ્ય આરોપી એવા પતિ સમસુદ્દીન અને તેના ભાઈ ઈકબાલને ઝડપી પાડ્યા છે. જ્યારે હત્યામાં સાથ આપનાર અન્ય બે આરોપીઓ અબ્દુલ કરીમ અને સાલીયા બીબીના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. 3 દાયકા જૂનો આ કેસ સોલ્વ થતાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
