અમદાવાદઃ શહેરમાં નરોડાના હંસપુરા ખાતે બંધ મકાનમાંથી 25 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મકાન માલિક છેલ્લા 16 દિવસથી યુવતીને ભાડા માટે ફોન કરતા હતા. જોકે, યુવતીએ ફોન રિસિવ ન કરતાં તેઓ ભાડુ લેવા પહોંચતાં સમગ્ર હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, મૃતક કૈલાશબેન ચૌહાણના છૂટાછેડા થયેલા છે અને અહીં એકલી રહેતી હતી. જેમને મકાન માલિક મહેશભાઈ જોષી છેલ્લા 16 દિવસથી ભાડા માટે ફોન કરતા હતા. જોકે, તેઓ ફોન રિસિવ કરતાં નહોતા. જેથી તેઓ ભાડું લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઘરને બહાર તાળું મારેલું હોવાથી તેમણે તાળું તોડતા મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. આથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે, ગત 27મી ફેબ્રુઆરીએ અકસ્માતે મોતનો બનાવ સામે આવ્યો હતો. દેવનંદન સંકલ્પ સિટીમાં મકાનમાંથી યુવતીની લાશ મળી આવી હતી. મકાન માલિકની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે દેવનંદન સંકલ્પ સિટીમાં બે વર્ષ પહેલાં ઈ 404 નંબરનું મકાન ખરીદ્યું હતું. આ મકાન ખેડાના રહેવાસી કૈલાશબહેન ચૌહાણને ભાડે આપેલું હતું.


છેલ્લા 16 દિવસથી તેઓ મકાનના ભાડુઆત કૈલાશ બહેનને ફોન કરતાં હતાં પણ તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારે મહેશભાઈને લાગ્યું હતું કે કૈલાશ બહેન મકાન ખાલી કરીને જતા રહ્યાં હશે. મકાનનું તાળું તોડીને તેઓ ઘરમાં ગયા તો બેડ પર કૈલાશ બહેનની લાશ હતી. લાશ વિકૃત હાલતમાં હતી. પોલીસને જાણ કરતાં પોલીસે  લાશને પીએમ માટે મોકલી આપી હતી. જેમાં ખુલાસો થયો કે મહિલાને ઇજાઓ પહોંચાડતા તેને હેમરેજ થતા તેનું મૃત્યુ નીપજ્યું છે. મહિલાના પરિવારને જાણ કરતા તેમણે કૈલાશ બહેન સાથે કોઈ સંબંધ નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવી નથી તેમજ નિવેદન આપવાથી પણ ઇનકાર કરી દીધો હતો.  નરોડા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.