અમરેલીઃ થોડા દિવસો પહેલા પીપાવાવની ખાનગી કંપનીના ચોકીદારની હત્યા કરીને દાટી દીધેલી લાશનો ભેદ પોલીસે ગણતરીની દિવસોમાં ઉકેલી નાંખી બે આરોપીને પકડી પાડયા. કેવી હતી તેની સિસ્ટમ શા માટે કરવામાં આવી હતી ત્યાં જોઈએ આ રિપોર્ટમાં.


રાજુલા તાલુકાના રામપરા ગામમાં આવેલ કોન્ટ્રાક્ટ લોજીસ્ટીક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા અનિલ કુમાર આશારામ ચોબાલી રહેવાસી બાગપત ઉત્તર પ્રદેશની તારીખ 13 જાન્યુઆરીના રોજ હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ તેમના જ રહેઠાણની પાછળ આવેલી અવાવરું જગ્યામાં દાટી દીધી. આ ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો. 


બે આરોપીને પકડી પાડી તેમની પાસેથી સિલસિલાબંધ વિગતો કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની હકીકત પર નજર કરીએ તો મૃતક આ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને એ જ કંપનીમાં ઠેકેદાર તરીકે કામ કરી રહેલ બાબુ નંદ સરદાર કે જે બિહાર નો રહેવાસી હતો અને  તે મૃતક અનિલ કુમારની બાજુની રૂમમાં જ રહેતો હતો.


આ મૃતક અનિલકુમાર ચોબાલી અવારનવાર બાબુનંદ સરદારને અહીંની મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને વાત કરતો હોય તે બાબતે વારંવાર તેમને અટકાવતો અને ટોકતો હતો. આ બાબતનું મનદુઃખ અને દાઝ રાખી તારીખ 13 જાન્યુઆરીના રોજ મૃતક અનીલ કુમાર ચોબાલીની રૂમમાં જઈ બોથડ પદાર્થ અને પાવડાનો ઘા મારી માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ઈજા કરી મોત નીપજાવ્યુ હતું. 


આ ઘટના આ જ કંપનીમાં કામ કરતો અનિલ સરદાર જોઈ ગયો ત્યારે બાબુ નંદે તેને કોઈને કહેવાની ના પાડી પૈસાની લાલચ આપી અને વાતને રફેદફે કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે રાત્રે અનિલ સરદાર અને બાબુનંદ સરદારે કંપનીના રહેણાંકની પાછળના ભાગમાં જ ઊંડો ખાડો કરી અને મૃતક અનિલ ચોબાલીની લાશને દાટી દીધી. આ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરી રહેલા મગનભાઈ ભાલીયાએ પોતાની કંપનીની પાછળના ભાગે જમીનમાં દટાયેલા લાશ બાબતે પોલીસને જાણ કરતા પીપાવાવ મરીન પોલીસે ખોદકામ કરાવી દટાયેલી લાશને બહાર કાઢતા આ લાશ અનિલકુમાર આશારામ ચોબાલી ઉર્ફે ત્યાગી રહેવાસી ઉત્તર પ્રદેશનો હોય તે ઓળખી બતાવેલ હતું.


પીપાવાવ મરીન પોલીસ અમરેલી એલ.સી.બી એસ.ઓ.જી એફ.એસ.એલ. આ તમામ ટીમોએ ટેકનિકલ અને એફ એસ એલની મદદથી આ લાશના હત્યારાને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને આ જ કંપનીમાં કામ કરી રહેલા બે ઠેકેદારો તેમાં સંડોવાયેલા છે તેમની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા પોપટની જેમ ગુનો કર્યાની હકીકત જણાવી કબૂલાત આપી હતી. મુખ્ય આરોપી બાબુનંદ સરદારે તેની મદદ કરનાર અન્ય ઠેકેદાર અનિલ સરદારને રૂપિયા બે લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસા મૃતક અનિલ ચોબારીના મોબાઈલમાંથી પેટીએમ કરી ટ્રાન્સફર કર્યા હોવાનું ગુનેગારોએ કબૂલ્યું હતું. હાલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. જોકે પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓનો કોઈ ગુનાહિત ઈતિહાસ જાણવા મળેલ નથી.