દાહોદઃ શહેરના ગોવિંદવાડી વિસ્તારમાં ગત સોમવારે થયેલી લાખો રૂપિયાના દાગીના અને રોકડાની લૂંટના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ લૂંટ બીજા કોઈએ નહીં, પરંતુ ફરિયાદી રેલવે અધિકારીની પત્નીએ જ કરાવી હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ પ્રેમપ્રકરણમાં આ લૂંટને અંજામ આપ્યો હતો. તેણે પોતાના પ્રેમી સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો અને પુત્રના જન્મદિવસે જ તેને અંજામ આપ્યો હતો. તેમજ તેને આ લૂંટનું કાવતરું ખુલ્લું ન પડી જાય તે માટે બધાની સામે જબરા નાટક કર્યા હતા.


આ અંગેની વિગતો એવી છે કે, ગોવિંદનગર વિસ્તારમાં આવેલા શ્રીનગર-1માં રહેતા રાકેશકુમાર સિંહ રેલવે અધિકારી છે. તેમની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ છે. તેમણે અગાઉ જ પ્રેમીને સોનાના દાગીના અને રોકડા રૂપિયા આપેલા હતા. જોકે, દિવાળીનો તહેવાર નજીક આવતાં છઠ્ઠ પૂજા પર પતિ આ દાગીના અને રૂપિયા માંગશે, તેની પરિણીતાને ખબર હતી. જોકે, તે પ્રેમીને આપી દિધા હોવાથી પતિ માંગશે, તો શું કહેશે તેની ચિંતા હતી. આથી તેણે પ્રેમી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

આ પ્લાન પ્રમાણે ગત સોમવારે તેના સાત વર્ષીય પુત્રનો જન્મદિવસ હોઇ મોડી સાંજે તેઓ બજારમાં ઉજવણી માટેનો સામાન ખરીદવા ગયા હતા. તેમજ 13 વર્ષીય દીકરી અને સાત વર્ષનો દીકરો ઘરે એકલા જ હતા. બીજી તરફ પ્લાન પ્રમાણે પરિણીતાનો પ્રેમી અન્ય સાગરીતો સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો. તેમજ દરવાજો ખોલવા માટે કિશોરીને જણાવ્યું હતું. જોકે, દરવાજો ન ખોલતા તેમણે તેની પાસે પીવા માટે પાણી માંગ્યું હતું. આમ, દરવાજો ખોલતા જ તેઓ અંદર ઘૂસી ગયા હતા. તેમજ બંને બાળકોને બાનમાં લઈ ઘરના સભ્યોને મારી નાંખવાની ધમકી આપી હતી.

આ પછી તેમણે તિજોરી તોડી લૂંટનું નાટક કર્યું હતું. તેમજ આ પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમિયાન રાકેશકુમાર સિંહ અને તેમની પત્ની ઘરે આવતા ઘરમાં સર સમાન અસ્તવસ્ત જોઈ તેઓ ચોંક્યા હતા અને બાળકો તેમને ઘટના વિષે વાત કરી ત્યારબાદ ઘરની તિજોરીમાં તપાસ કરતા લાખોની લૂંટ હોવાનું માલૂમ પડતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તિજોરીમાં તપાસ કરતા અઢિ હજાર રોકડા અને 30 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરાતા શહેર પોલીસ એલસીબી પોલીસનો કાફલો ઘટના સથળે પહોંચી લૂંટારુઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

આ સમયે પરિણીતાએ લૂંટની ઘટના પછી શંકા ન જાય તે માટે રોકકડ શરૂ કરી દીધી હતી. તેમજ પોતે આ ઘટનાથી ખૂબ જ દુઃખી હોવાનું નાટક કર્યું હતું. જોકે, પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાઈ ગયો છે. તેમજ આ લૂંટની ઘટનામાં પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે.