સુરત:  સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 


'મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી' તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં  ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી કયા વ્યક્તિના નામનો આ ઉલ્લેખ કરાયો છે તે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે. 


સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી વર્ષાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. સિંગણપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. જ્યાં મહિના પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. 


પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહનો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જે દરમિયાન સુરત પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 


પરિવારજનો મૃતદેહને લઈ અંતિમ વિધિ માટે નિવાસસ્થાન ખાતે લઇ ગયા હતા. જોકે આ દરમિયાન મૃતકના પરિવારજનોએ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે. મૃતકના કાકા નરેન્દ્ર ભાઈ નાથુએ જણાવ્યું હતું કે, સ્યુસાઈડ નોટમાં કયા વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તેની તપાસ કરવામાં આવે. પોલીસ તટસ્થ તપાસ કરશે તો આપઘાતનું કારણ બહાર આવશે. કોના કારણે આપઘાત કરવા મહિલા પોલીસકર્મી પ્રેરાઈ તેની તપાસ કરવી જરૂરી છે. જ્યાં પરિવારે કરેલી ન્યાયિક તપાસની માંગના પગલે પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સિંગણપોર પોલીસની તપાસમાં મળી આવેલ સ્યુસાઈડ નોટ માં માતા અને બહેન નો ઉલ્લેખ કરી લખ્યું હતું કે, મને માફ કરજો ".જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે..પોલીસે કોના પર વિશ્વાસ હતો જે તૂટી ગયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે..જે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે છે. 


મહત્વનું છે કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુરતના સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી. ક્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલે એવી તો શું મજબૂરી હતી કે આપઘાત કરવાની ફરજ પડી ? જે સૌથી મોટો તપાસનો વિષય હાલ પોલીસ માટે બની રહે છે. સુસાઇડ નોટ અને પોલીસની તપાસ પર હવે સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં હવે કયા નવા ખુલાસા મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત ને લઈ બહાર આવે છે.