Surat News:- સુરત સચિનમાં માતાએ તેમના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્રણેયની હાલત ગંભીર હોવાથી તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં તેમની હાલત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના શું છે જાણીએ...


આપઘાત કરના મહિલાના આ બીજા લગ્ન છે, બંને બાળકો તેમના પહેલા લગ્નથી થયેલા છે. જો કે બીજી વખતના લગ્ન બાદ પણ તે પતિથી અલગ રહેતી હતી. બાળકોને કેમ મારવાનો પ્રયોસ કર્યો અને ખુદ પણ ક્યા કારણોસર જીવન ટૂંકાવવા ઇચ્છતી હતી. તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસે તપાસ આ મામલે તપાસ હાથ ધરી છે. હાલ બે બાળકો અને માતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં ત્રણેયની સ્થિતિ હાલ સુધારા પર છે.


સુરતની અન્ય ઘટનામાં  ત્રણ સંતાનની માતાએ આપઘાત કર્યો


તો બીજી તરફ સુરતના કામરેજમાં પણ એક  ચોંકાવનારી ઘટના બની છે. 3 સંતાનોની માતાએ આપઘાત કર્યો છે. 32 વર્ષીય પરણિતાએ પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પતિની દારૂ પીવાની લતના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. મૃતક પરણિતાનું નામ અલ્પાબેન હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતાં પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


સુરત શહેરના પાંડેસરામાં રૂ. 10 હજાર માટે યુવકની ઘાતકી હત્યા કરનારી ત્રિપુટીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી
 સુરત શહેરના પાંડેસરામાં રૂ. 10 હજાર માટે યુવકની ઘાતકી હત્યા કરનારી ત્રિપુટીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી છે. વિશાલ ગર્ગને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારાયો હતો.જે બાબતે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા અને કેટરર્સ કારીગરોનો કોન્ટ્રાક્ટ લેતા યુવાનને ગત રાતે રૂ. 10હજારની રકમ વસૂલવા માટે ભીડભંજન આવાસ પાસે બોલાવી ત્રણ યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરનાર ત્રણ યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરામાં આવેલી આશાપુરી સોસાયટી વિભાગ - 2 ખાતે રહેતા વિશાલ શંકરભાઈ ગર્ગ કેટરર્સના કારીગર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. દરમિયાન વિશાલ ગર્ગે અગાઉ રાકેશ જૈના પાસેથી ઉછીના પેટે રૂ. 10,000  લીધા હતા. આ રકમની લેતીદેતીમાં ઉશ્કેરાયેલા રાકેશ જૈનાએ ગત તા. 15  ડિસેમ્બરના રોજ મધરાતે અગાઉથી તેને પતાવી દેવાનું કાવતરું રચી ઊભેલા ભીડભંજન આવાસમાં રહેતા રાકેશ ઉપેન્દ્ર જેના, હરીશ રાજેશ રાઠોડ, કુમાર શત્રુઘ્ન બિશ્નોઈ સહિતે વિશાલ ગર્ગ ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરી તું મેરા પૈસા ખા ગયા હૈ, આજ તુજે જિંદા નહીં છોડેંગે એમ કહીને લોહીલુહાણ કરી મૂક્યો હતો. એ સમયે બાઈક ઉપરથી પસાર થતા મિત્ર કૃણાલ પટેલ અને હિતેશ રાણાની નજર પડતાં વિશાલ ગર્ગ ઉપર થતાં હુમલામાં તેને બચાવવા દોડી ગયા હતા. જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિતે હાથપગમાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતાં વિશાલ ગર્ગને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ ડી ડી ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના, હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈ ને પકડી લઈને ધરપકડ કરી હતી.