Veraval : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વેરાવળની આ યુવતી પર એક પુરુષે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ થઇ હતી.  મળતી માહિતી મુજબ દુષ્કર્મ કરનાર આરોપી પીડિતાના પિતાની હોડીમાં મજૂરી કામે આવતો હતો. આ દરમિયાન તેણે આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. બાદમાં અનેકવાર શરીર સબંધ બાંધી લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી જેલ હવાલે કરી દીધો હતો. 


અમદાવાદમાં પુત્રની ક્રૂર હત્યા કરનાર પિતાની ધરપકડ
અમદાવાદમાં શહેરમાં માનવ અંગો મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મર્ડર મિસ્ટ્રીના કેસનો પર્દાફાશ કરતા આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે નિલેશ જોશી નામના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે નિવૃત ક્લાસ-2 અધિકારી નિલેશે જ પુત્રની હત્યા કર્યો હોવાનો આરોપ છે. એટલું જ નહી નિલેશે પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડા કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા. પોલીસે નિલેશે તેના પુત્રની હત્યા ક્યાં કરી અને માથુ અને હાથ ક્યાં નાખ્યા તેની તપાસ શરૂ કરી છે. 


અમદાવાદ પોલીસને શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી માનવ અંગો મળ્યા હતા. માનવ અંગો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આંબાવાડીમાં રહેતા નિલેશ જોશીએ જ પોતાના પુત્ર સ્વયંની હત્યા કરી ટુકડા કરી નાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની 2 ટીમ આ કેસમાં તપાસ કરી રહી હતી. આરોપીનું નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.તપાસમાં સામે આવ્યું કે,  આરોપી એસ.ટી બસમાં બેસીને સુરત ગયો હતો અને સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર જવા રવાના થયો  હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે RPFની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને ઝડપી લીધો હતો.