રાજધાની લખનઉમાં એક સનસનાટીભર્યા હત્યાના કેસનો પર્દાફાશ થયો છે. આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લૂ ડ્રમમાં બે ટુકડામાં કાપેલા એક ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઉદ્યોગપતિ માનવેન્દ્ર પ્રતાપ સિંહ 20 ફેબ્રુઆરીથી ગુમ હતા. ત્યારથી પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે હત્યાકાંડમાં મૃતકના પુત્ર અક્ષય પ્રતાપ સિંહની અટકાયત કરી છે. વાસ્તવમાં લખનઉના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 ફેબ્રુઆરીએ માનવેન્દ્ર પ્રતાપ સિંહ (49) ગુમ થયાની અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. તે તેના ઘરેથી ગાયબ થઈ ગયા હતા. તપાસ દરમિયાન, પોલીસે તેના પુત્ર અક્ષયની પૂછપરછ કરી અને તેમને શંકા ગઈ હતી. જ્યારે પોલીસે કડક વલણ અપનાવ્યું, ત્યારે પુત્રએ સત્ય જાહેર કર્યું અને હત્યાની કબૂલાત કરી હતી.
પિતાની હત્યા કરી અને લાશ વાદળી ડ્રમમાં છૂપાવી દીધી.
ડીસીપી સેન્ટ્રલ વિક્રાંત વીરે જાણકારી આપી હતી કે પિતા માનવેન્દ્ર સિંહ તેમના પુત્ર અક્ષય પ્રતાપને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનું કહેતા હતા. 20 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ 4:30 વાગ્યે આ જ મુદ્દા પર તેનો પુત્ર સાથે ઝઘડો થયો, જેનાથી અક્ષય ગુસ્સે થયો અને તેણે પિતાની રાઇફલથી પિતાને જ ગોળી મારી દીધી હતી. પિતાની હત્યા કર્યા પછી આરોપીએ મૃતદેહને છૂપાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર એક ખાલી રૂમમાં મુકી અને તેના ટૂકડા કરી વાદળી ડ્રમમાં છૂપાવી દીધો હતો. ત્યારબાદ આરોપીએ શરીરના ટુકડા એક પછી એક બહાર ફેંકી દીધા. તેણે હાથ અને પગના ટુકડા સદરૌના પાસે ફેંકી દીધા હતા.
પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી
આરોપીના કહેવા પર પોલીસને વાદળી ડ્રમમાંથી શરીરના બે ટુકડા મળી આવ્યા છે. હત્યામાં વપરાયેલી રાઇફલ અને તીક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યું. ડ્રમમાંથી ધડ મળી આવ્યું હતું, પરંતુ માથું ગાયબ હતું. પોલીસે આરોપી પુત્રને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે. આરોપીની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જ્યારે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો ત્યારે તેમની પુત્રી પણ ઘરમાં હાજર હતી. અક્ષયે તેના પિતાને તેની નજર સામે ગોળી મારી દીધી. જોકે, પછી તેણે તેની બહેનને ચૂપ રહેવાની ધમકી આપી હતી. પોલીસ હવે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.