Mahisagar Murder Case: મહીસાગર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીર દીકરીએ પોતાના પ્રેમલગ્નમાં આડખીલીરૂપ બનતી પોતાની જ સગી માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. દીકરીએ પોતાના પ્રેમી, માતાના પ્રેમી અને અન્ય મિત્રો એમ કુલ 6 લોકો સાથે મળીને માતાને ગળેટૂંપો આપીને પતાવી દીધી અને કોઈને શંકા ન જાય તે માટે લાશને 18 કિલોમીટર દૂર એક તળાવમાં ફેંકી દીધી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને સગીરા સહિત તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એક જનેતાની હત્યામાં સગી દીકરી જ માસ્ટરમાઈન્ડ નીકળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Continues below advertisement

તળાવમાંથી લાશ મળી અને ફૂટ્યો ભાંડો

મળતી માહિતી મુજબ, 3 દિવસ પહેલા કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાકા તળાવમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને લાશને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલી હતી. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે મહિલાનું મોત ડૂબવાથી નહીં, પણ ગળેટૂંપો આપવાથી થયું છે. ત્યારબાદ પોલીસે હત્યાના એંગલથી તપાસ શરૂ કરી હતી.

Continues below advertisement

સગીરાએ પ્રેમીને કહ્યું, "મા જીવતી હશે તો આપણા લગ્ન નહીં થાય..."

કોઠંબા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો. મૃતક મહિલાની સગીર દીકરી કમલેશ નામના યુવક સાથે પ્રેમ કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેની માતા આ સંબંધની વિરુદ્ધમાં હતી અને દીકરીના લગ્ન બીજે કરાવવા માંગતી હતી. આ વાતનો ખાર રાખીને સગીરાએ કમલેશને કહ્યું કે, "જો મારી મા જીવતી હશે તો આપણા લગ્ન નહીં થાય." બસ, અહીંથી જ આ ભયાનક હત્યાનું કાવતરું ઘડાયું.

રાત્રે ખેતરમાં બોલાવીને આપ્યો ગળેટૂંપો

હત્યાના પ્લાન મુજબ, સગીરાના પ્રેમી કમલેશે મૃતક મહિલાના પ્રેમી જયેશનો સંપર્ક કર્યો અને પોતાના અન્ય મિત્રોને પણ સાથે લીધા. પ્લાન પ્રમાણે, જયેશે રાત્રે મહિલાને મળવાના બહાને ખેતરમાં બોલાવી. ત્યાં કમલેશ અને તેના મિત્રો પણ પહોંચી ગયા. આ તમામ લોકોએ ભેગા મળીને ખેતરમાં જ મહિલાને ગળેટૂંપો આપી દીધો. હત્યા બાદ તેને અકસ્માતનું રૂપ આપવા માટે તેઓએ લાશને ત્યાંથી 18 કિલોમીટર દૂર નાકા તળાવમાં ફેંકી દીધી હતી.

તમામ 6 આરોપીઓ પોલીસ સકંજામાં

પોલીસે આ કેસમાં સઘન પૂછપરછ કરતા આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. કોઠંબા પોલીસે આ કેસમાં સગીર દીકરી, તેનો પ્રેમી કમલેશ, મૃતકનો પ્રેમી જયેશ અને અન્ય યુવકો મળી કુલ 6 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે (ઝડપાયેલા લોકોમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર છે). પ્રેમ પ્રકરણના આવા કરુણ અંજામ અને દીકરીની ક્રૂરતાથી આસપાસના લોકો પણ સ્તબ્ધ છે.