વડોદરા: વડોદરાના કારેલીબાગમાં વહેલી સવારે ફ્રુટની લારી ચલાવતા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યારો પકડાયો અને જે ઘટના સામે આવી તે ફિલ્મી સ્ટોરી જેવી છે.  વડોદરા શહેરના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે 7 ફેબ્રુઆરીના રોજ ફૂટ વેચવા નીકળેલા યુવકને ચાકુના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને લઇ ચકચાર મચી જવા પામી હતી. યુવકને છરીના ઘા મારતા પોલીસ પહોંચી તે પહેલાં લોહીલુહાણ હાલતમાં યુવકે ઘટનાસ્થળે જીવ છોડ્યો હતો. 


ફ્રુટના વેપારીને હત્યા કરનાર ગુલઝારે સોપારી લીધી હતી. આ સોપારી આપનાર જિશાન પઠાણને હત્યા થયેલ યુવકની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ પ્રેમસંબંધ પામવા અને પ્રેમિકાને પામવા ગુલઝારને હાથો બનાવી જિશાને નિઝામની હત્યા કરી નાખી હતી. 


આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનને લઇ તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસમાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ હોવાનું અને તે ફ્રુટનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું હતું. નાઝિમના મૃત્યુના સમાચાર મળતાં પરિવારે ઘટના સ્થળે પહોંચી આક્રંદ કર્યું હતું અને નાઝીમને કોઈના સાથે દુશ્મની  ન હોવાનું જણાવ્યું હતું.જોકે પોલીસ તપાસમાં નજીકમાં રહેતા ગુલઝાર પઠાણ પર શંકા જતા તેની ધરપકડ કરવામા આવી અને પૂછતાછમાં તેણે 30 હજાર ઉધાર માંગતા અને નાઝીમએ ન આપતા તેની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.


પરંતુ પોલીસને ગુલઝારની વાત ગળે ઉતરતી ન હતી કે કોઈ નાણાં ઉધાર ન આપે અને તે માટે કોઈ હત્યા કરે જેથી પોલીસે આકરી પૂછપરછ કરતા આખરે ગુલઝાર પડી ભાંગ્યો અને વટાણા વેરી દીધા હતા. તેણે કબુલ્યું કે જિશાન નામના યુવકને અગાઉ મૃતક નાઝીમના પત્ની સાથે અનૈતિક સબંધ હતા. જેની જાણ નાઝીમને થતા તેણે પત્નીને ધમકાવી હતી. જેથી પત્નીએ ભૂલ કબુલ કરી માફી માંગી હતી અને જિશાન સાથે સંબંધો તોડી દીધા હતા. બસ ત્યારથી જ જિશાને પરિણીત પ્રેમિકાને પામવા નાઝીમનો કાંટો કાઢવાનું વિચાર્યું અને દેવામાં ડૂબેલા ગુલઝારને તેનું દેવું ચૂકવી દેવા અને નવી રીક્ષા અપાવવાની લાલચ આપી હતી. કારણ કે જિશાન પણ રીક્ષા ચલાવતો હોવાથી ગુલઝારની પરિસ્થિતિથી વાકેફ હતો. બસ ગુલઝારે જિશાન પાસે સોપારી લીધી અને ક્રૂરતા પૂર્વક ચાકુના ઘા ઝીંકી નાઝીમનું ઢીમ ઢાળી દીધું હતું.