વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોના ગામે યુવકની જાહેરમાં જ પંચ સામે હત્યા થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવક તેની પ્રેમિકા સાથે લિવ-ઇનમાં રહેતો હતો. જોકે, બંને વચ્ચે તકરાર થતાં આ મુદ્દો સમાજના પંચમાં પહોંચ્યો હતો. આ સમયે યુવતીના પરિવારે યુવકને ઢોર માર માર્યો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, લગ્ન પહેલા લીવ ઇન રિલેશનમાં રહેતા યુવક યુવતી વચ્ચે કંકાસ થતાં સમાધાન માટે બેસેલા સમાજના પંચમાં જ બબાલ થઈ હતી. યુવતીના પરિવારજનોએ યુવકને પંચની સામે જ ઢોર માર માર્યો હતો. આ પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવકનું સારવાર દરમિયાન મોત  નીપજ્યું છે. કપરાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. યુવતીના 7 પરિવારજનોની પોલીસે ધરપકડ કરી છે. 


પત્ની પર દુષ્કર્મના કેસમાં પતિને સજામાંથી બાકાત રાખવાની જોગવાઇ મુદ્દે હાઈકોર્ટે સરકાર પાસે શું માંગ્યો ખુલાસો?


અમદાવાદઃ વૈવાહિક બળાત્કારના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજીને હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી છે. મેરિટલ રેપમાં પતિને સજામાંથી બાકાત રાખવાની જોગવાઈને પડકારતી અરજીમાં હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ઈશ્યુ કરી ખુલાસો માંગ્યો છે. મહિલા પર બળાત્કાર બદલ સજાની જોગવાઈ, તો પત્ની પર રેપ બદલ પતિને સજાના દાયરાથી શા માટે બહાર રાખ્યો? અરજદારે રજુઆત કરી હતી. 


મેરિટલ રેપમાં પતિને સજાના દાયરાથી બહાર રાખવો એ નારીના સન્માન, ગૌરવ અને બંધારણીય અધિકારો પર તરાપ હોવાની અરજદારે રજૂઆત કરી હતી. 15 વર્ષથી મોટી ઉંમરની પત્ની પર બળાત્કારના કિસ્સાઓમાં પતિને સજાથી બાકાત રાખવો જોઈએ નહીં, તેમ અરજદારે રજૂઆત કરી હતી. 


ગર્ભવતી, શારીરિક કે માનસિક અસ્વસ્થ કે અન્ય રીતે કમજોર પત્ની પર કરેલા બળાત્કાર બદલ પતિને સજામાંથી બાકાત રાખી શકાય નહીં એવી રજુઆત કરવામાં આવી હતી. જો પતિ પત્નીની સાથે મારઝૂડ કરે તો સજા થાય પણ બળાત્કાર કરે તો સજા કેમ નહીં? એવો મુદ્દો ઉઠાવાયો હતો. 


સ્ત્રી અને પત્ની વચ્ચે કૃત્રિમ ભેદ ઉભો કરીને પુરુષને તેના જઘન્ય અપરાધ બદલ સજામાંથી બાકાત રાખવો એ કાયદાનો હેતુ હોઈ શકે નહીં, તેવી રજૂઆત અરજદાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.