જૂનાગઢ:  થોડા દિવસો પહેલા જૂનાગઢના બે રીક્ષાચાલકોના દારુ પીધા બાદ મૃત્યુ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રાજ્યમાં  લઠ્ઠાકાંડની ભીતિ ફરી ઉદ્દભવી હતી. સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો હતો અને બોટાદ બાદ લઠ્ઠાકાંડથી વધુ એક ઘટના સર્જાતા પોલીસ વિભાગ સામે બેદરકારીના આક્ષેપો થવા લાગતા સરકાર પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસ માટે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવ લઠ્ઠાકાંડ નહિં પરંતુ પૂર્વયોજીત હત્યાકાંડ હોવાનું ખુલતા  સનસનાટી મચી જવા પામી છે. 


જૂનાગઢ શહેરનો ગાંધી ચોક જ્યાં 4 દિવસ પહેલાં સનસની મચી ગઈ હતી. જ્યારે 2 રિક્ષાચાલકના શંકાસ્પદ મોત થયા હતા. પોલીસે આ કેસનો ભેદ ઉકેલી લીધો છે.  તપાસમાં ખુલ્યું કે આ બનાવ હત્યાનો છે.  આરોપી મૃતકની જ પત્ની અને તેનો પ્રેમી છે. વાત એમ છે કે, ચાર દિવસ પહેલાં રફીક અને જૉનના બે રિક્ષાચાલકોએ સોડાની બોટલમાંથી જેવું પીણું પીધું બંને તરફડીયા મારવા લાગ્યા હતા અને તેમનું મોત થયું હતું. 


પોલીસે સોડાની બોટલમાંથી પીણાના સેમ્પલ લઈ તપાસ કરતા તેમાં સાઈનાઈડ મિલાવ્યું હોવાનું ખુલ્યું છે.  તપાસમાં એ પણ બહાર આવ્યું કે પ્રેમસંબંધમાં રિક્ષાચાલક રફીકની  હત્યા કરાઈ હતી.  હત્યામાં મૃતક રફીકની જ પત્ની મહેમુદા સામેલ હતી.  તેનો પ્રેમી આસિફ અને તેનો મિત્ર ઈમરાન  મહેમુદા અને આસિફ વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો.  બંને લગ્ન કરવા ઈચ્છતા હતા.  આ માટે બંનેએ રફીકની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.  હત્યાના 2 પ્રયાસ તો નિષ્ફળ રહ્યા હતા.  ત્રીજી વખત તેઓ પોતાના પ્લાનમાં સફળ રહ્યા હતા.  હાલ તો પોલીસ એ તપાસ કરી રહી છે કે, આરોપીઓ સાઈનાઈડ ક્યાંથી લાવ્યા હતા. 


આ ઘટનાને જોતાં લાગી રહ્યું હતું કે, કોઇ ઝેરી પીણું પીતા બન્ને લોકોના મોત નિપજ્યા છે. પરંતુ સમગ્ર ઘટનાક્રમને જોતાં પોલીસને શંકા ગઇ હતી. પોલીસે આ મામલે ખૂબ જ ચતુરાઇપૂર્વકની તપાસ કરતાં અંતે ભાંડો ફૂટ્યો હતો. પોતાના પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમીના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના પતિને જ પતાવી દેવા સમગ્ર તરખટ રચ્યું હતું. આ સમગ્ર કેસના તળિયા સુધી પહોંચવામાં જૂનાગઢ LCB પોલીસને સફળતા મળી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે મૃતકના પત્ની મેમુદાબેન, તેનો પ્રેમી આસિફ ચૌહાણ અને તેના મિત્ર ઈમરાન ચૌહાણની ધરપકડ કરી છે.