CBSE Three-Language Policy: સીબીએસઈ (CBSE) એ સ્પષ્ટ કર્યું છે કે 7મી, 8મી, 9મી અને હાલના 10મી ધોરણના વિદ્યાર્થીઓ પર નવો થ્રી-લેંગ્વેજ (ત્રણ ભાષાનો) ફોર્મ્યુલા લાગુ થશે નહીં. 

Continues below advertisement

 

સીબીએસઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ લાગુ કરવામાં આવી રહેલી થ્રી-લેંગ્વેજ પોલિસીને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ દૂર કરી દીધી છે. બોર્ડે સાફ કર્યું છે કે 7મી, 8મી અને 9મી ધોરણમાં ભણી રહેલા હાલના વિદ્યાર્થીઓએ નવા નિયમો હેઠળ 10મી બોર્ડની પરીક્ષામાં ત્રીજી ભાષાનું પેપર આપવું પડશે નહીં. એટલે કે આ બેચના વિદ્યાર્થીઓનો અભ્યાસ પહેલાથી નક્કી થયેલી વ્યવસ્થા મુજબ જ ચાલુ રહેશે.

Continues below advertisement

આ પણ વાંચો...UPSCમાં બહાર પડી ભરતી, અનેક મંત્રાલયોમાં મળશે નોકરી

બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) અનુસાર, હાલના 10મી ધોરણના વિદ્યાર્થીઓ પર પણ નવી ભાષા નીતિ લાગુ થશે નહીં. આનાથી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના ફેરફાર કે વધારાના વિષયની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

આ રીતે લાગુ કરવામાં આવશે નિયમ:

સીબીએસઈ (CBSE) નું કહેવું છે કે નવી ભાષા નીતિને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અચાનક કોઈ અસર ન પડે. આ માટે ધોરણના સ્તર અનુસાર જરૂરી અભ્યાસ સામગ્રી (સ્ટડી મટીરિયલ) પણ નક્કી કરેલી સમયમર્યાદામાં પૂરી પાડવામાં આવશે.

કયા ધોરણ પર કયા નિયમો લાગુ થશે?

ધોરણ 10 (શૈક્ષણિક સત્ર 2026-27)

આ બેચ માટે કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓ પહેલાની જેમ જ માત્ર બે ભાષાઓ ભણશે. તેમને ત્રીજી ભાષા રાખવાની જરૂર રહેશે નહીં.

ધોરણ 9 (શૈક્ષણિક સત્ર 2026-27)

આ બેચના વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી અનિવાર્ય છે. જો કોઈ વિદ્યાર્થી પહેલાથી જ હિન્દી અને તમિલ જેવી બે ભારતીય ભાષાઓ ભણી રહ્યો છે, તો તે ત્રીજી ભાષા તરીકે અન્ય કોઈ ભારતીય ભાષા અથવા અંગ્રેજી, ફ્રેન્ચ જેવી વિદેશી ભાષા પસંદ કરી શકે છે.

જો કોઈ વિદ્યાર્થી તમિલ અને અંગ્રેજી ભણી રહ્યો છે, તો તેણે ત્રીજી ભાષા તરીકે એક ભારતીય ભાષા ઉમેરવી પડશે. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી અને ફ્રેન્ચ જેવી બે વિદેશી ભાષાઓ ભણી રહ્યો છે, તો તેને એક વખત માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. તે પોતાની બંને વિદેશી ભાષાઓ ચાલુ રાખી શકે છે, પરંતુ તેની સાથે એક ભારતીય ભાષા પણ ભણવી પડશે.

સૌથી મોટી રાહત

વર્તમાન સમયમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષામાં CBSE બોર્ડની પરીક્ષા આપવી પડશે નહીં. આ ભાષાનું મૂલ્યાંકન (ઇન્ટરનલ એસેસમેન્ટ) માત્ર સ્કૂલ લેવલ પર જ થશે.

ધોરણ 7 અને 8 (શૈક્ષણિક સત્ર 2026-27)

જ્યારે આ વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 માં પહોંચશે, ત્યારે પણ તેઓ ત્રણ ભાષાઓ ભણશે. જો તેમણે પહેલાથી જ બે વિદેશી ભાષાઓ પસંદ કરી રાખી છે, તો તેમણે માત્ર એક ભારતીય ભાષા ઉમેરવાની રહેશે. આ વિદ્યાર્થીઓએ પણ ત્રીજી ભાષાની CBSE બોર્ડ પરીક્ષા આપવાની રહેશે નહીં. તેનું મૂલ્યાંકન માત્ર સ્કૂલ જ કરશે.

ધોરણ 6 (શૈક્ષણિક સત્ર 2026-27) અને ત્યારપછીની બેચ

આ વિદ્યાર્થીઓ પર નવી નીતિ સંપૂર્ણપણે લાગુ થશે. ત્રણ ભાષાઓમાં બે ભારતીય ભાષાઓ ફરજિયાત રહેશે. જ્યારે આ વિદ્યાર્થીઓ ધોરણ 10 માં પહોંચશે, ત્યારે તેઓ ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા પણ આપશે. NCERT બંધારણની 22 માન્ય ભારતીય ભાષાઓમાં નવું પુસ્તકો ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

કયા વિદ્યાર્થીઓને છૂટ મળશે?

CBSE એ કેટલીક શ્રેણીના વિદ્યાર્થીઓને આ નિયમમાંથી મુક્તિ આપી છે. દિવ્યાંગ (CwSN) વિદ્યાર્થીઓને કાયદા અનુસાર રાહત મળશે. ભારતની બહાર આવેલી CBSE સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ભારતીય ભાષા ભણવી ફરજિયાત રહેશે નહીં. વિદેશથી ભારત પરત ફરેલા વિદેશી વિદ્યાર્થીઓને પણ ત્રીજી ભારતીય ભાષામાંથી મુક્તિ મળશે.

જો પરિવાર બીજા રાજ્યમાં શિફ્ટ થઈ જાય તો?

જો કોઈ વિદ્યાર્થીના માતા-પિતા બીજા રાજ્યમાં બદલી (ટ્રાન્સફર) પામે છે, તો વિદ્યાર્થી પોતાની પહેલા પસંદ કરેલી ત્રીજી ભાષા ચાલુ રાખી શકે છે. આવા કિસ્સાઓમાં સ્કૂલે તેના અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે.

સ્કૂલોમાં શિક્ષકો કેવી રીતે ઉપલબ્ધ થશે?

CBSE એ જણાવ્યું છે કે સ્કૂલો જરૂર પડ્યે વર્તમાન શિક્ષકો, નિવૃત્ત  શિક્ષકો, પોસ્ટગ્રેજ્યુએટ શિક્ષકો અને ઓનલાઈન અથવા હાઈબ્રિડ માધ્યમનો ઉપયોગ કરી શકે છે.

CBSE એ શું કહ્યું?

બોર્ડનું કહેવું છે કે આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ને અનુરૂપ કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો બોજ વધારવાનો નથી, પરંતુ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો અને ભાષા શીખવાની પ્રક્રિયાને સરળ, રસપ્રદ અને ઉપયોગી બનાવવાનો છે. સાથે જ બોર્ડે ખાતરી આપી છે કે આ ફેરફારથી કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન થવા દેવામાં આવશે નહીં.


Education Loan Information:

Calculate Education Loan EMI