ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 1 થી ધોરણ 9ના ક્લાસ બંધ કરી દેવાયા છે. આ ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે ત્યારે ક્લાસમાં ફરી શિક્ષણ શરૂ કરવા મુદ્દ આજે નિર્ણય લેવાશે.


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવી કે નહીં તેના પર આજે નિર્ણય લેશે. રાજ્યમાં 1 થી 9 ની શાળાઓમા કોરોના કેસ વધતા 31 જાન્યુઆરી સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે. બીજી તરફ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1 થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. આ રજૂઆતના પગલે  ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવા સંદર્ભે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  હાજરીમાં મળતી કોર કમિટીની બેઠક બાદ ધોરણ 1 થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા કે નહીં તે મુદ્દે નિર્ણય લેવાશે.


રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળામાં ઓફ લાઈન શિક્ષણ બાબતે  ગયા અઠવાડિયે કહ્યું હતું,  ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમા શાળા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.  ખાનગી શાળા સંચાલકોએ રાજ્યના શિક્ષણ વિભાગને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો.


શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે, રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.


રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, 1 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામા આવે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.


હાલમા રાજ્યમાં કોરોનાના કેસ  ઘટી રહ્યા છે અને બીજી લહેર જેવી ભયાવહ સ્થિતિ નથી. આ ઉપરાંત  મહારાષ્ટ્રમાં પ્રી પ્રાયમરીથી માંડી ધોરણ 12 સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે ત્યારે રાજ્યની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.


Education Loan Information:

Calculate Education Loan EMI