Gujarat Std 1 Admission Rules: ગુજરાતમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશ અપાવવા માટે દોડધામ કરી રહેલા વાલીઓ માટે શિક્ષણ વિભાગે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે હવેથી ધોરણ-1 માં એડમિશન માટે બાલવાટિકા (પ્રી-સ્કૂલિંગ) પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ હોવું ફરજિયાત નથી. માત્ર બાળકના જન્મના પ્રમાણપત્ર કે માન્ય ઉંમરના પુરાવાના આધારે જ પ્રવેશ મળી જશે. જો કોઈ સરકારી કે ખાનગી શાળા બાલવાટિકા સર્ટિફિકેટની માંગણી કરીને પ્રવેશ આપવાની ના પાડશે, તો તેમની સામે RTE એક્ટ હેઠળ આકરા પગલાં લેવામાં આવશે. નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આ અંગેના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.

Continues below advertisement

શિક્ષણ વિભાગના પરિપત્રની મુખ્ય વાતો:

રાજ્યની શાળાઓ માટે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં કેટલીક મહત્વની જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:

Continues below advertisement

RTE કાયદાનો ચુસ્ત અમલ: મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 (RTE Act) ની કલમ 14 ની જોગવાઈઓ મુજબ, ધોરણ-1 માં પ્રવેશ માટે માત્ર બાળકની નક્કી કરેલી ઉંમર (વયનો પુરાવો) જ ધ્યાનમાં લેવાની રહેશે.

કયા દસ્તાવેજો માન્ય ગણાશે?: જન્મ-મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ, 1969 હેઠળ આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર અથવા ઉંમર સાબિત કરતો અન્ય કોઈ પણ માન્ય દસ્તાવેજી પુરાવો પ્રવેશ માટે પર્યાપ્ત (પૂરતો) ગણાશે.

એડમિશન નકારી ન શકાય: સૌથી મોટી વાત એ છે કે, જો કોઈ કારણસર ઉંમરની સાબિતી કે પુરાવાનો અભાવ હોય, તો પણ કોઈ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.

સર્ટિફિકેટના નામે હેરાન કરનાર શાળાઓની હવે ખેર નહીં!

નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ (અનુદાનિત) અને ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક શાળાઓને કડક તાકીદ કરી છે કે આ નિયમનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

જો કોઈ પણ પ્રાથમિક શાળા બાલવાટિકાના એટલે કે પ્રી-સ્કૂલિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખશે અને સર્ટિફિકેટ ન હોવાના કારણે બાળકના પ્રવેશમાં અવરોધ ઊભો કરશે કે એડમિશન આપવાની ના પાડશે, તો તેને RTE Act ની કલમ 14 નો સીધો ભંગ ગણવામાં આવશે. આવી શાળાઓ સામે નિયમ મુજબ કડક વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓને અપાયા આદેશ

આ નવા નિયમના કડક અમલ માટે શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO), જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને શાસનાધિકારીઓને સૂચના આપી દીધી છે. તેઓને આદેશ કરાયો છે કે તેમના તાબા હેઠળ આવતી તમામ શાળાઓને તાત્કાલિક ધોરણે આ અંગેની સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી દેવામાં આવે, જેથી કોઈ પણ વાલીને બિનજરૂરી હેરાનગતિનો સામનો ન કરવો પડે.


Education Loan Information:

Calculate Education Loan EMI