વડોદરાઃ ગુજરાતમાં યોજાયેલી 6 મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે, ત્યારે હવે આ તમામ મનપામાં કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. વડોદરામાં પણ ભાજપની ભવ્ય જીત થઈ છે, ત્યારે હવે વડોદરામાં કોણ મેયર બનશે, તેના પર સૌની નજર છે. વડોદરામાં પરાક્રમસિંહ જાડેજા, કેયુર રોકડીયા અને કલ્પેશ પટેલનું મેયર માટે નામ ચાલી રહ્યું છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં પણ કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. રાજકોટમાં ભાજપના ડો. અલ્પેશ મોરજિયા અને પ્રદીપ ડવનું નામ મેયરપદ માટે ચાલી રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના નવા મેયર હિમાંશુ વાળા અથવા તો ચંદ્રકાંત ચૌહાણ બને તેવી શક્યતા છે. જોકે, મેયરનું નામ જાહેર થાય પછી જ ખબર પડશે કે, કોના પર કળશ ઢોળાય છે.

સુરત કોર્પોરેશનમાં આ વખતે મહિલા મેયર બનશે. સુરતના મેયરપદ માટે સૌથી વધુ શક્યતા યુવા મહિલા નેતા હેમાલી બોઘાવાલાની છે. આ ઉપરાંત દર્શિની કોઠિયાનું નામ પણ મેયર માટે ચાલી રહ્યું છે. જોકે, ભાજપ કોને મેયર બનાવે છે તે જોવાનું રહ્યું. આ સિવાય ભાવનગરમાં વર્ષાબા પરમાર, કીર્તિબેન દાણીધરિયા અને યોગીતાબેન ત્રિવેદીનું મેયર તરીકે નામ ચાલી રહ્યું છે.