અમદાવાદ: 18મીથી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની બે લોકસભા બેઠકો અને એક વિધાનસભા બેઠક પર સભાઓ ગજવશે. ઉલ્લેખયની છે કે જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા આ માણાવદર બેઠક ખાલી પડી છે.



રાહુલ ગાંધી રાત્રિ રોકાણ સાથે 18-19 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ત્રણ જાહેર સભા સંબોધવાના છે. તેઓ ગુરૂવારે બપોરે ત્રણ વાગે વંથલી ખાતે જાહેરસભા યોજવાના છે. જૂનાગઢ જિલ્લામાં આવતાં આ વિસ્તારને પોરબંદર લોકસભા વિસ્તાર તથા માણાવદર વિધાનસભા ક્ષેત્ર લાગુ પડે છે.

આ સભા બાદ રાહુલ ગાંધી મોટરમાર્ગે કેશોદ જઈ ત્યાંથી ચાર્ટર્ડ વિમાન દ્વારા સાંજે 6 વાગે ભૂજ પહોંચી જાહેર સભા સંબોધશે. ભૂજથી મોડી સાંજે સુરત આવશે અને ત્યાં તાજ હોટેલમાં કે સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. સુરતમાં ગુજરાતની ચૂંટણીની સ્થિતિ અંગે ચર્ચા થવાની હોઈ ટોચના પ્રદેશ નેતાઓ સુરતમાં હાજર રહેશે.

19મી એપ્રિલે સવારે 10 વાગે રાહુલ ગાંધી સુરતના ઉદ્યોગકારો, ટેક્સ્ટાઈલ તથા ડાયમંડ વ્યાપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે મીટિંગ યોજશે. આ મીટિંગ બાદ સવારે 11:30 રાહુલ ગાંધી બારડોલી લોકસભા બેઠકમાં બારડોલી અને વ્યારા વચ્ચે આવતાં બાજુપુરા ખાતે જાહેર સભા સંબોધી ત્યાંથી રાજ્ય બહાર જવા રવાના થશે.