વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા બેઠક પરથી સમાદવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉમેદવારીપત્ર ભરનારા તેજ બહાદુર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે બીએસએફના પૂર્વ જવાનની ઉમેદવારીપત્રને રદ કરી દીધું છે. એટલે કે હવે તે ચૂંટણી લડી નહી શકે. તેજ બહાદુર યાદવના ઉમેદવારીપત્રના કાગળમાં ગરબડ હતી અને તેમને એક પ્રમાણપત્ર જમા કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ જમા કરાવી શક્યા નહોતા. તેજ બહાદુર યાદવે પોતે આ અંગેની જાણકારી આપી હતી. વારાણસી જિલ્લા ચૂંટણી કાર્યાલયે તેજ બહાદુર યાદવને ચૂંટણી પંચ તરફથી પોતાની ઉમેદવારીપત્ર રદ થવા મામલે પ્રમાણપત્ર લાવવાની એક નોટિસ જાહેર કરી હતી.

નોંધનીય છે કે તેજ બહાદુર યાદવે અપક્ષ ઉમેદવાર તરીકે વારાણસીમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. પરંતુ બાદમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ તેમને સમર્થન આપ્યું હતું. સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવાર  શાલિની યાદવના સ્થાને તેજ બહાદુર યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. વારાણસીમાં 19મેના રોજ મતદાન થશે.

વાસ્તવમાં તેજ બહાદુરના ઉમેદવારીપત્ર પર શરૂઆતથી તલવાર લટકી રહી હતી. તેમણે બે એફિડેવિટમા સૈન્યમાંથી સસ્પેન્ડને લઇને બે અલગ અલગ જાણકારી આપી હતી. એક એફિડેવિટમાં યાદવે કહ્યુ હતું કે, ભ્રષ્ટાચારના આરોપને કારણે સૈન્યમાંથી તેમને હટાવ્યા હતા. પરંતુ બાદમાં જ્યારે સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેજ બહાદુરે એફિડેવિટમા આ જાણકારી છૂપાવી હતી. વારાણસીથી રિટનિંગ ઓફિસરે આ અંગે તેજ બહાદુર પાસે સ્પષ્ટતા માંગી હતી.