ગાંધીનગરઃ એક્ઝિટ પોલ પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે રાજ્યની તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવા સહિત કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વાઘાણીએ કહ્યું, સરકારે જે કામ કર્યા તેનું આ પરિણામ છે. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ લોકોએ સ્વીકાર્યું છે તેવું એક્ઝિટ પોલ પરથી લાગે છે. આ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. જેથી 26માંથી 26 બેઠક જીતીશું તેવો વિશ્વાસ છે. જુઠા પ્રચાર સામેની આ જીત છે.


જીતુ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વિપક્ષમાં ઘોર નિરાશા વ્યાપી છે. વિપક્ષ હારનું ઠીકરું EVM પર ફોડે છે. વિપક્ષ પાસે PMનો ચહેરો ન હતો. રાષ્ટ્રવિરોધી વિપક્ષને એક્ઝિટ પોલ અમાન્ય છે.  પરેશ ધાનાણીના ટ્વિટ પર જીતુ વાઘાણીએ જવાબ આપતાં જણાવ્યું કે, કૉંગ્રેસનાં નેતાઓને પરિણામ બાદ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. પોતાની વિરુદ્ધનું પરિણામ પચાવવાની તાકાત વિપક્ષમાં નથી.

ધોરાજીના ધારાસભ્ય અને પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ જીતુ વાઘાણીએ આપેલા નિવેદન મુદ્દે કહ્યું કે, લોકોનુ ધ્યાન બીજે ખેંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ નિવેદન ભાજપના આગેવાનોની માનસિકતા દેખાડે છે. ગુજરાત વિધાનસભાના પરિણામ પછી ભાજપની માનસિકતા બગડી છે.  લોકસભા ચૂંટણીના પરિણામો પછી ભાજપના જીતુભાઇ જેવા આગેવાનોને મેન્ટલ હોસ્પિટલ જવું પડશે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જીતુ વાઘાણી પર પ્રહાર કરતાં કહ્યું, 23મીના ચૂંટણી પરિણામ બાદ જીતુ વાઘાણી મેન્ટલ હોસ્પિટલ જવા તૈયાર રહે. વર્ષોના કોંગ્રેસના શાસન વખતે શું ભાજપના નેતાઓ મેન્ટલ હોસ્પિટલમાં હતા ? ભાજપનો અહંકાર અને ઘમંડ બોલે છે.

જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન પર કૉંગ્રેસના નેતાઓએ ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો