Lok Sabha Election 2024 ABP C voter Exit poll:  લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) શનિવારે (1 જૂન, 2024) ના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મતદારોએ તેમને નકારી દીધા છે.






પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે અવસરવાદી ગઠબંધન (ઇન્ડિયા ગઠબંધન) મતદારો સાથે તાલમેલ સાધવામાં અસફળ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે. આ ગઠબંધન પરિવારને બચાવવા માટે બન્યું હતું. ઇન્ડિયા ગઠબંધન લોકોની સામે રાષ્ટ્રનું વિઝન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમની નિપુણતા માત્ર પીએમ મોદીની ટીકા કરવામાં છે. લોકોએ આવી રાજનીતિને નકારી કાઢી છે.






શું દાવો કરાયો?


પીએમ મોદીએ વધુમાં દાવો કર્યો કે હું વિશ્વાસ સાથે કહું છું કે દેશની જનતાએ એનડીએના પક્ષમાં મતદાન કર્યું છે. લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો અને જાણવા મળ્યું કે અમે ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.






મતદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે હું એનડીએના દરેક કાર્યકર્તાની પ્રશંસા કરવા માંગુ છું. કાર્યકરોએ કાળઝાળ ગરમી વચ્ચે અમારો વિકાસ એજન્ડા લોકોને સમજાવ્યો હતો અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. અમારા કાર્યકરો અમારી સૌથી મોટી તાકાત છે.






પીએમ મોદીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે લોકસભા ચૂંટણીને લઈને ટીવી પર ચાલી રહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે લીડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.