અમદાવાદ: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે ફરી એકવાર ગુજરાતમાં જાહેરસભા ગજવશે. નરેન્દ્ર મોદી 21મીએ સવારે 9 વાગ્યે પાટણ ખાતે સભા સંબોધશે. ભાજપે આ જાહેરસભાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યાર બાદ બનાસકાંઠા અને મહેસાણામાં પણ સભા સંબોધવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાટણના કાર્યક્રમને પગલે પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા બેઠકો કબજે કરવા માટે ભાજપે કમર કસી છે. અગાઉ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંમતનગરમાં સભા યોજાઈ હતી.

ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં આ સભા યોજાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન 21મી એપ્રિલે પાટણ ખાતે સભા સંબોધશે. ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન કઈ બેઠક ઉપર શું સ્થિતિ છે તેનો પણ તાગ મેળવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે-સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ ગામડા ખૂંદી રહ્યા છે અને ભાજપને જીતાડવા માટે આહ્વાન કરી રહ્યા છે.