અમદાવાદ: સુરેન્દ્રનગરમાં એક સભામાં હાર્દિક પટેલને જાહેરમાં કડીના તરૂણ ગજ્જરે થપ્પડ મારી દીધી હતી. હાર્દિકને તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ સ્ટેજ પર ચઢીને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ લાફો મારનાર તરૂણને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલને લાફો મારવા મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતું.

હાર્દિક પટેલના લાફાકાંડ મામલે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, રાજકારણમાં પોતાના વિચારો રજૂ કરવાનો દરેકને અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ હોય પછી તે નાનો કાર્યકર જ કેમ ના હોય. રાજકારણની સભાઓમાં પોતાનો મત રજૂ કરવો એ દરેકનો અધિકાર છે. આ સાથે જ તેમણે હાર્દિક પર થયેલા હુમલાને વખોડતા કહ્યું હતું કે, હાર્દિક પર જે હુમલો થયો તે સહેજ પણ યોગ્ય નથી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં કોઈ પણનો વિરોધ કરવો હોય તો આ પ્રકારે વિરોધ કરવો ખોટો છે. લોકશાહીમાં વિરોધમાં ન્યાયિક કેટલીક રીતો ઉપલબ્ધ છે. ન્યાયિક રીતે જેનો પણ વિરોધ કરવો હોય તે કરી શકાય છે. કોઈના ઉપર વ્યક્તિગત હુમલો કરવો કે સભા વિખેરી નાખવી એ યોગ્ય નથી. બીજેપીને આ મામલા સાથે કોઈ લેવા દેવા નથી.