નવી દિલ્હીઃ એક્ટિંગ છોડીને રાજનીતિમાં આવેલી બાંગ્લા અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ દિલ્હી હિંસા બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. સુભદ્રા મુખર્જીએ કહ્યું છે કે તેઓ એ પાર્ટીમાં નથી રહી શકતા, જેમા કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. સુભદ્રા મુખર્જીએ કેટલીક બાંગ્લા ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. સુભદ્રા મુખર્જીએ શુક્રવારે જ બીજેપી છોડી દીધી હતી પરંતુ આ વાત રવિવારે સામે આવી.


મીડિયા સાથે વાત કરતાં સુભદ્રા મુખર્જીએ કહ્યું કે મેં ખૂબ જ આશાઓ સાથે પાર્ટી જોઇન કરી હતી. પરંતુ તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસા અને ધૃણા જોઇ હું ખૂબ જ અપસેટ છું. ધર્મના નામ પર ભાઇઓ એકબીજાના કેમ ગળા કાપી રહ્યા છે? હું 40 લોકોના મોત બાદ ખૂબ જ વ્યાકુળ હતી.



સુભદ્રા મુખર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના ચીફ દિલીપ ઘોષને પોતાનું રાજીનામુ મોકલ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું કે તેઓ મોટી આશાએ બીજેપીમાં સામેલ થયા હતા. પરંતુ હાલના ઘટનાક્રમથી તેઓેને નિરાશા થઇ. જે બતાવે છે કે બીજેપી પોતાની વિચારધારથી દૂર જઇ રહી છે. તેઓએ કહ્યું કે તે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની સાથે હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પસાર કરાવ્યું પંરતુ તેઓ તેને પ્રોત્સાહન આપવાના બીજેપીની રીતને લઇને હવે વિરોધમાં છે.

અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ કહ્યું, માહોલ નફરતથી ભર્યો છે. અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા જેવા પાર્ટી નેતાઓ વિરુદ્ધ તેમના નફરત ભર્યા ભાષણો છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હું આવી પાર્ટીમાં કેવી રીતે રહી શકું છું, જે મરજી પુર્વક કાર્યવાહી કરે છે?

સુભદ્રાના આ નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા શામિક ભટ્ટાચાર્ય એ કહ્યું કે પાર્ટીએ કયારેય વિચારધારાની સાથે સમજૂતી કરી નથી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે અમે શરણાર્થી અને ઘૂસણખોરોના અંતરની વાત કરી છે. તેમણે કહ્યું કે અમે પણ સમેકિત ભારતમાં વિશ્વાસ કરીએ છીએ અને દિલ્હીમાં થયેલી હિંસામાં ભાજપનો કોઇ હાથ નથી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે તેમણે મુખર્જીના નિર્ણય અંગે પહેલેથી જ માહિતી હતી. આશા છે કે તેઓ તેના પર ફરીથી વિચાર કરશે.