મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર લોકડાઉન ખૂલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, કારણકે લોકડાઉન ખુલતાં જ તેની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થવાની છે. લોકડાઉનના કારણે ફિલ્મોનું શૂટિંગ અટકી ગયું છે અને પૂરા દેશમાં સિનેમાઘર બંધ છે. અક્ષય કુમારે કહ્યું કે, પ્રથમ વખત આટલો લાંબો સમય ઘરમાં રોકાયો છું. તેણે કહ્યું, જો લોકડાઉન ન હોત તો આ દરમિયાન હું 2-3 ફિલ્મો શૂટ કરી લેત.


અક્ષય કુમારે એક ઓનલાઇન ઇન્ટરેક્શન સેશન દરમિયાન કહ્યું, હું મારી સમગ્ર કરિયરમાં પ્રથમ વખત આટલા લાંબા સમય સુધી ઘરમાં રહ્યો છું. આ દરમિયાન હું 2-3 ફિલ્મો સરળતાથી કરી શકતો હતો. તેણે ત્રણ મહિના સુધી ઘરમાં લોકડાઉન અંગે તેની લાઇફને લઈ પણ વાત કરી.

અક્ષયે કહ્યું, મેં મારા પરિવાર સાથે અનેક ગેમ્સ જોઈ. પત્ની સાથે અનેક શો જોયા, પુત્ર સાથે જમવાનું બનાવ્યું. મા સાથે પત્તા રમ્યો અને ઘરે બેઠા બેઠા અનેક વિજ્ઞાપન પણ કરી. થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ નહીં થવા પર અક્ષય કુમારે કહ્યું, તે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોને મિસ કરી રહ્યો છે.

તેણે કહ્યું, જ્યારે હું બાળક હતો ત્યારે મારા પરિવાર સાથે ફિલ્મ જોવા થિયેટર જતો હતો. ફિલ્મ જોવાના ચક્કરમાં હું બપોરનું જમતો પણ નહોતો, તેથી દર્શકોની ભાવનાઓ સમજી શકુ છું. હું મારા તમામ ફેન્સનો આટલો પ્રેમ આપવા બદલ આભાર માનું છું.