નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ હાલ દેશભરમાં લોકડાઉન 4 ચાલી રહ્યું છે. લોકડાઉનના કાણે માત્ર આદ આદમી જ નહીં પરંતુ બોલીવુડ સેલેબ્સ પણ પરેશાન થઈ ગયા છે. ફિલ્મો અને સીરિયલ્સના શૂટિંગ બંધ હોવાના કારણે નાનુ-મોટુ કામ કરીને પોતાની રોજી રોટી ચલાવતા એકટરો પર મોટું સંકટ આવી ગયું છે.


મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડ્રિમગર્લ અને સુશાંત સિંહ રાજપૂત સાથે સોનચિડિયામાં કામ કરી ચુકેલો એકટર ફળ વેચવા મજબૂર બન્યો છે. બે મહિનાથી બેકાર થઈ ચુકેલો એકટર દિવાકર સોલંકી દિલ્હીમાં રેકડી લગાવીને ફળ વેચી રહ્યો છે. પરિવારનું ભરણ પોષણ કરવા દિવાકર હાલ આ કામ કરી રહ્યો છે.

દિવાકર સોલંકીએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે ફિલ્મોનું શૂટિંગ ઠપ થઈ ગયું છે.  બે મહિનાથી કોઈ કામ નથી મળી રહ્યું. જેના કારણે મારા પરિવારજનોના ભરણ પોષણ માટે આ કામ કરવું પડી રહ્યું છે.

દિવાકર સોલંકી આગ્રા પાસેના એક નાનકડા ગામનો રહેવાસી છે. તે 1995માં દિલ્હીમાં શિફ્ટ થયો હતો. જે બાદ તે અહીંયા ફળ વેચવાનું કામ કરવા લાગ્યો હતો. થોડા દિવસો સુધી સંઘર્ષ કર્યા બાદ થિયેટર અને ફિલ્મોમાં નાના રોલ મળવા લાગ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણના કારણે ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ જતાં ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ ગયો હોવાથી તેણે ફરીથી જૂનું કામ શરૂ કર્યુ છે.

એક્ટરના કહેવા મુજબ આ સમસ્યા માત્ર મારી નથી, તમામની છે. આ સમય પણ ગમે તેમ રીતે પસાર થઈ જશે.