નવી દિલ્હીઃ સુપરસ્ટાર રજનીકાંતના સ્વાસ્થ્યને લઇને હૈદરાબાદની એપોલો હૉસ્પીટલે બુલેટિન જાહેર કર્યુ છે. હૉસ્પીટલે સુપરસ્ટાર અંગે સમાચાર આપતા જણાવ્યુ કે, રજનીકાંતના સ્વાસ્થ્યમાં સુધારો છે. તેમના રિપોર્ટમાં કોઇ ચિંતાજનક સ્થિતિ નથી દેખાઇ રહી. એક ડૉક્ટરોની ટીમ તેમના પર નજર રાખી રહી છે, અને બપોર બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. તેમનુ બ્લડ પ્રેશર પહેલા કરતા કન્ટ્રૉલમાં છે.


હૉસ્પીટલે બુલેટિનમાં કહ્યું- તપાસના તમામ રિપોર્ટ આવી ચૂક્યા છે, અને તેમાં કોઇ ચિંતાજનક દેખાતુ નથી. ડૉક્ટરોની એક ટીમ તેમના રિપોર્ટની તપાસ કરશે, અને આજે બપોરે તેમને ડિસ્ચાર્જ કરવાનો ફેંસલો લેશે. એટલુ જ નહીં બ્લડ પ્રેશર પણ પહેલા કરતાં નિયંત્રણમાં છે.

ગઇકાલે શૂટિંગ દરમિયાન સુપરસ્ટારને અચાનક બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા થતા તેમને સારવાર માટે હૈદરાબાદની એપોલો હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસથી સુપરસ્ટાર રજનીકાંત હૈદરાબાદમાં ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યાં હતા, શૂટિંગ દરમિયાન સેટ પર હાજર રહેલા બે લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ 22 ડિસેમ્બરે રજનીકાંતે પણ પોતાના કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જોકે તેમને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારબાથી એક્ટર આઇસૉલેશનમાં છે, જોકે તેમનામાં કોરોનાના કોઇ લક્ષણો નથી દેખાયા.