મુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની વયે મુંબઈ ખાતે આજે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતના સમાચારની સાથે મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરોની સલાહ પર પરિવારે ઈરફાનના પાર્થિવ દેહને હોસ્પિટલથી વર્સોવા સ્થિત કબ્રસ્તાન લઈ જવાનો ફેંસલો કર્યો હતો. અંધેરીના વર્સોવામાં આવેલા કબ્રસ્તાનમાં તેને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો હતો.



લોકડાઉનના કારણે બોડી ઘરે લઈ જવાની મંજૂરી ન હોવાથી તેના પરિવાર અને સંબંધીઓએ હોસ્પિટલમાં તેના અંતિમ દર્શન કર્યા હતા. હોસ્પિટલની બહાર સમગ્ર પરિવાર શોકમાં ડૂબેલો જોવા મળ્યો હતો. ઈરફાન ખાનની પત્નીએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.



પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- "ઇરફાન ખાનનું નિધન સિનેમા અને રંગમંચની દુનિયાની એક ક્ષતિ છે. તેને જુદાજુદા માધ્યમોમાં તેના બહુમુખી પ્રદર્શન માટે યાદ કરવામાં આવશે. અમે તેના પરિવાર, દોસ્તો અને પ્રસંશકોની સાથે છીએ. તેમની આત્માને શાંતિ મળે." (તસવીર: માનવ મંગલાની)