મુંબઇઃ બીએમસીએ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મુંબઇ સ્થિત ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું  હતું. આ એક્શન બાદથી કંગના સતત શિવસેના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિવેદન આપી રહી છે. હવે કંગનાએ એક ટ્વિટ કરી ઉદ્ધવ ઠાકરે સાથે જ કોગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે અને શિવસેનાને સોનિયા સેના ગણાવી છે.


કંગનાએ ટ્વિટમાં લખ્યું હતું કે, જે વિચારધારા પર શ્રી બાલા સાહેબ ઠાકરેએ શિવ સેનાનું નિર્માણ કર્યું હતું આજે તે સત્તા માટે એ વિચારધારાને વેચી શિવસેનામાંથી સોનિયા સેના બની ચૂકી છે, જે ગુંડાઓએ મારુ ઘર તોડ્યું તેમને સિવિલ બોડી ના કહો, બંધારણનું આટલું મોટુ અપમાન ના કરો.



એક અન્ય ટ્વિટમાં કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા લખ્યું કે, તમારા પિતાજીના સારા કર્મો તમને સંપત્તિ તો આપી શકે છે પરંતુ સન્માન તમારે જાતે જ કમાવું પડે છે. મારુ મોં બંધ કરાવશો પણ મારો અવાજ લાખોમાં ગૂંજશે. કેટલા મોં બંધ કરાવશો? ક્યાં સુધી સચ્ચાઇથી ભાગશો. તું કાંઇ નથી ફક્ત વંશવાદનો એક નમૂનો છે.



કંગનાએ પોતાના એક ટ્વિટમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી. કંગનાએ શિવસેના પર નિશાન સાધતા કહ્યું કે, ચૂંટણી હાર્યા બાદ શિવસેનાએ શરમજનક રીતે ભેળસેળ સરકાર બનાવી અને સોનિયા સેનામાં ફેરવાઇ ગઇ. નોંધનીય છે કે બીએમસીએ ઓફિસ તોડ્યા બાદ કંગનાએ એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં કહ્યુ હતું કે, આજ મારું ઘર તૂટ્યું છે, કાલે ઉદ્ધવ ઠાકરેનો ઘમંડ તૂટશે.