મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પિતા અમરદીપ સિંહ રનૌતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. અમરદીપ સિંહ રનૌત પ્રથમવાર મીડિયા સામે આવ્યા હતા. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કંગનાની હિંમતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, કંગનાએ હક માટે અવાજ ઉઠાવ્યો છે. મારી દીકરીએ હક માટે અવાજ ઉઠાવ્યો અને આ કોઇ ખરાબ વાત નથી.


અમરદીપ સિંહ રનૌતે કંગના રનૌતને સુરક્ષા આપવા માટે વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે હિમાચલપ્રદેશના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક લોકોને આ વાત ખરાબ લાગી છે તો તેમને કેમ ખરાબ લાગી એ તો તે જ જણાવશે. કંગનાએ સારી વાત કરી એટલા માટે દેશના લોકોએ તેને સપોર્ટ કર્યો છે.

નોંધનીય છે કે કંગનાની માતા આશા રનૌતે પણ મીડિયા સામે આવીને દીકરીને સમર્થન આપ્યું હતું અને શિવસેના, બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ. કંગનાની માતાએ કહ્યું હતું કે, તેમને તેમની દીકરી પર ગર્વ છે. કેન્દ્ર સરકારે કંગનાને વાઇ પ્લસ સિક્યોરિટી આપીને હિમાચલની દીકરીને સુરક્ષા આપી છે. રાજ્યની જયરામ સરકારે પણ કંગનાને સુરક્ષા આપી છે.