Happy Birthday Rajinikanth: સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર રજનીકાંત હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ રીતે સક્રિય છે. 72 વર્ષીય અભિનેતાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. પોતાની આખી કારકિર્દીમાં રજનીકાંતે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, ફિલ્મી પડદે ઘણી અભિનેત્રીઓ સાથે તેમની જોડી જામી, પરંતુ જે ફિલ્મમાં રજનીકાંત શ્રીદેવી સાથે ઓનસ્ક્રીન દેખાયા તે ફિલ્મ હિટ સાબિત થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે શ્રીદેવીએ રજનીકાંત માટે 7 દિવસના ઉપવાસ કર્યા હતા. આખરે અભિનેત્રીએ રજનીકાંત માટે કેમ કર્યા હતા ઉપવાસ ચાલો જાણીએ..




આ ફિલ્મોમાં શ્રીદેવીએ રજનીકાંત સાથે જોડી બનાવી હતી


રજનીકાંત અને શ્રીદેવી તેમના સમયના ફેમસ અને ડિમાન્ડિંગ સ્ટાર્સ હતા.  આ બંનેએ માત્ર સાઉથ સિનેમામાં જ ધૂમ મચાવી ન હતી.  પરંતુ તેમની એક્ટિંગે બોલિવૂડમાં પણ ઘણી કમાણી કરી હતી. બંનેએ લગભગ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આમાંની મોટાભાગની ફિલ્મો કન્નડ, મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાઓમાં છે. 'ફરિશ્તે', 'ચાલબાઝ', 'ભગવાન દાદા', 'જુલ્મ' અને 'ગેર કાનૂની' રજનીકાંત અને શ્રીદેવીની સુપરહિટ ફિલ્મો હતી.




શ્રીદેવીએ રજનીકાંત માટે 7 દિવસના ઉપવાસ કર્યા હતા


એક ઈન્ટરવ્યુમાં રજનીકાંતે જણાવ્યું હતું કે વર્ષ 2011માં જ્યારે તેઓ તેમની ફિલ્મ 'રાણા'નું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેઓને સારવાર માટે સિંગાપુર લઈ જવા પડ્યા હતા. જ્યારે શ્રીદેવીને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. રજનીકાંતની તબિયત સુધારવા માટે તેણે શિરડી જવાનું નક્કી કર્યું. શિરડી ગયા બાદ તેણે રજનીકાંતની તબિયત માટે 7 દિવસના ઉપવાસ રાખ્યા જેથી રજનીકાંત વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય.


શ્રીદેવી તેના પતિ સાથે રજનીકાંતને મળવા પહોંચી 




શ્રીદેવીની પ્રાર્થના બાદ રજનીકાંત સંપૂર્ણ સ્વસ્થ થઈને ભારત પરત ફર્યા હતા. રજનીકાંત ઘરે પરત ફર્યા કે તરત જ શ્રીદેવી તેના પતિ બોની કપૂર સાથે તેમને મળવા આવી હતી. રજનીકાંતની તબિયતમાં સુધારો જોઈને શ્રીદેવીના જીવમાં જીવ આવ્યો હતો. આજે શ્રીદેવી આ દુનિયામાં નથી પરંતુ તેના કો-સ્ટાર્સ સાથે હંમેશા સારા સંબંધો હતા.