OMG 2 Banned By Censor Board : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ખરેખર સાડસાતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ હવે તેની આગામી ફિલ્મ ઓહ માય ગોડ 2 (OMG 2) વિવાદમાં સપડાઈ છે. અક્ષયની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. તેના એક મહિના પહેલા એટલે કે 11 જુલાઈના રોજ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ થયુ હતું . પરંતુ હવે આ ફિલ્મ પર સેંસર બોર્ડે હથોડો ઝીંક્યો છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરી દેતા ફિલ્મની રીલીઝ અટકી પડી છે.


ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જેવા દિગ્ગજ સ્ટાર્સ છે. સમાચાર અનુસાર, સેન્સર બોર્ડે આ ફિલ્મની રિલીઝ માટે પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો છે. હાલમાં આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી છે.


જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે તે પહેલા સેન્સર બોર્ડ તે ફિલ્મ જુએ છે. ત્યાર બાદ તેની સમીક્ષા કરે છે અને પછી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં સેન્સર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી નથી.


ફિલ્મ સમીક્ષા સમિતિને મોકલી


સેન્સર બોર્ડે આ ફિલ્મને રિવ્યુ કમિટીને મોકલી આપીએ છે. હવે તેમાં કોઈ ફેરફાર થશે કે કેમ, ફિલ્મના સીન પર કોઈ કાતર રહેશે કે કેમ, રિવ્યુ કમિટી આ અંગે અંતિમ નિર્ણય લેશે. સેન્સર બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેને ફિલ્મ પર પ્રતિબંધ ન કહી શકાય. કારણ કે સમીક્ષા સમિતિ પહેલા ફિલ્મ જોશે અને પછી નિર્ણય લેશે.






ઉલ્લેખનીય છે કે, OMG 2 2012માં આવેલી ફિલ્મ ઓહ માય ગોડની સિક્વલ છે. તે ફિલ્મને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. જ્યારે લગભગ 11 વર્ષ પછી અક્ષય તે ફિલ્મનો બીજો ભાગ લઈને આવી રહ્યો છે. પહેલા ભાગમાં અક્ષયે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને બીજા ભાગમાં શંકર ભગવાનના પાત્રમાં જોવા મળશે.


ટીઝરમાં અક્ષય ભગવાન શંકરના રોલમાં જોવા મળ્યો હતો


મેકર્સ દ્વારા મંગળવારે રિલીઝ કરવામાં આવેલા ટીઝર વીડિયોમાં અક્ષય શંકર ભગવાનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. અક્ષયની સાથે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને અભિનેત્રી યામી ગૌતમ પણ છે. પહેલા ભાગમાં પંકજ ત્રિપાઠીની જગ્યાએ પરેશ રાવલ જોવા મળ્યો હતો. ટીઝરને જોઈને લાગે છે કે આ સિક્વલ 2012ની OMG કરતાં થોડી અલગ હશે. પરેશ રાવલે એક એવા માણસનું પાત્ર ભજવ્યું જે ભગવાનમાં માનતો નથી. પરંતુ અહીં પંકજ ત્રિપાઠી ઉપરોક્તમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે.


https://t.me/abpasmitaofficial