Ram Gopal Varma: એક વિવાદાસ્પદ ટ્વીટના કારણે બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વર્મા વિરુદ્ધ આઈટી એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મનોજ સિંહે આ કેસ હજરતગંજ કોલવાલીમાં નોંધાવ્યો છે. રામ ગોપાલ વર્માએ દ્રૌપદી અને પાંડવો પર વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. આ અંગે ભાજપમાં નારાજગી જોવા મળી હતી. વિવાદાસ્પદ ટ્વીટના કારણે રામ ગોપાલ વર્મા કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભાજપના નેતાઓએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.


 




'રંગીલા' અને 'સત્યા' જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર રામ ગોલા વર્માએ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવો કોણ છે? અને તેનાથી પણ અગત્યનું છે તે, કૌરવો કોણ છે?" તેમના ટ્વીટની સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા નિંદા કરવામાં આવી હતી અને વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો.


આ મામલે વિવાદ વધતા બીજેપી નેતાઓ ગુડુર રેડ્ડી અને ટી. નંદેશ્વર ગૌરે હૈદરાબાદના એબિડ્સ પોલીસ સ્ટેશનમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમણે વર્મા પર લગાવ્યો હતો, તેમણે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરી છે. એબિડ્સ પોલીસ ઈન્સ્પેક્ટર બી. પ્રસાદ રાવે વર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે અને તેને કાનૂની સલાહ માટે મોકલવામાં આવી છે. કાનૂની સલાહ મળ્યા પછી, અમે વર્મા વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીશું.


તો બીજી તરફ, આંધ્ર પ્રદેશ ભાજપના વડા સોમુ વીરરાજુએ રામ ગોપાલ વર્માના ટ્વિટની આકરી ટીકા કરી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે રામ ગોપાલ વર્માને જેલમાં મોકલવા જોઈએ. ઉપરાંત, મનોચિકિત્સક દ્વારા તેમની તપાસ કરવી જોઈએ. વિવાદ શરૂ થયા બાદ રામ ગોપાલ વર્માએ અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું કે તેમની વાતને ખોટી રીતે લેવામાં આવી છે. જો કે, એવું લાગે છે કે તેના વિવાદાસ્પદ ટ્વીટને કારણે આગળ પણ તેનો વિરોધ થશે.