મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સની રીમેક દિલ બેચારાને લઈ ઘણો ઉત્સાહિત હતો. આ તેના બેસ્ટ ફ્રેન્ડ અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાની ડાયરેક્ટર તરીકે પ્રથમ ફિલ્મ છે. સુશાંત આ ફિલ્મમાં કામ કરીને ઘણો ખુશ હતો અને પોતાના દોસ્તના જીવનનો સ્પેશિયલ હિસ્સો બનવા જઈ રહ્યો હતો. પરંતુ કોઈ નહોતું જાણતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સુશાંત સિંહની અંતિમ ફિલ્મ હશે. ફિલ્મ મેકર આવતીકાલ 6 જુલાઈને સ્પેશિયલ કરવા જઈ રહ્યા છે.


ફિલ્મ ફેરના રિપોર્ટ પ્રમાણે, દિલ બેચારાના મેકર્સ 6 જુલાઈએ ફિલ્મનું ટ્રેલર ઓનલાઇન લોન્ચ કરવાના છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી છે. સંજના આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ ઘણા લાંબા સમયથી અટકેલી છે. ફિલ્મ ચાલુ વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનથી તેને રોકી દેવામાં આવી હતી. પરંતુ સુશાંત સિંહ રાજપૂતની સુસાઇડ બાદ તેને ડિજિટલ રિલીઝ કરવામાં આવી રહી છે.

દિલ બેચારા 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને કોઈપણ વ્યક્તિ ફ્રીમાં જોઈ શકે છે. આ માટે ઓટીટી પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શનની જરૂર નહીં રહે. બસ એર ઈન્સ્ટોલ કરીને તેને જોઈ શકાશે. ફોક્સ સ્ટાર દ્વારા નિર્મિત સુશાંત સિંહ રાજપૂતની આ અંતિમ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નાની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે અને ગીત અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 28 લોકોના નિવેદન નોંધવામાં આવી ચુક્યા છે, જેના આધારે કેસ ઉકેલવાની કોશિશ થઈ રહી છે.

સુશાંત સિંહે 14 જૂને આત્મહત્યા કરી હતી. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીના કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. વિસેરા રિપોર્ટમાં ખુલાસો થયો કે તેના શરીર અને નખમાંથી કોઈપણ પ્રકારનું શંકાસ્પદ કેમિકલ કે ઝેર મળી આવ્યું નથી. તેથી પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે.