Pandit Birju Maharaj Dies: પ્રખ્યાત કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. 83 વર્ષીય બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. સિંગર અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.


અદનાન સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું - મહાન કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી હું ખૂબ જ દુખી છું. આજે આપણે કલા ક્ષેત્રે એક અનોખી સંસ્થા ગુમાવી છે. તેણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.





બિરજુ મહારાજનું જીવનચરિત્ર


લખનૌ ઘરાનાના બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનૌમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રીજમોહન મિશ્રા હતું. કથક ડાન્સર ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નર્તકો હતા. બિરજુ મહારાજે દેવદાસ, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. આ સિવાય તેણે સત્યજીત રાયની ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં પણ સંગીત આપ્યું હતું.






બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. 2012 માં, તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં બાજીરાવ મસ્તાનીના ગીત 'મોહે રંગ દો લાલ'ને કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.