Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાના 42 વર્ષની ઉંમરે અચાનક અવસાનથી સમગ્ર મનોરંજન ઉદ્યોગમાં શોક વ્યાપી ગયો છે. ચાહકો અને ઘણા સેલેબ્સને આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે. આ ચોંકાવનારા સમાચાર પછી, કાંટા લગા સ્ટારનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણીએ તેના સ્વાસ્થ્ય સંઘર્ષ અને તેની કારકિર્દીમાંથી પીછેહટના કારણો વિશે નિખાલતાથી વાત કરી હતી.
15 વર્ષની ઉંમરથી જ તેને વાઈના હુમલા આવવા લાગ્યા હતા.
વાસ્તવમાં, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, શેફાલી જરીવાલાએ ખુલાસો કર્યો હતો કે તે 15 વર્ષની ઉંમરથી જ વાઈથી પીડાઈ રહી હતી. તેણીએ કહ્યું, "મને 15 વર્ષની ઉંમરે વાઈના હુમલા આવતા હતા. મને યાદ છે કે, તે સમયે મારા અભ્યાસમાં સારો દેખાવ કરવા માટે મારા પર ઘણું દબાણ હતું. તણાવ અને ચિંતા હુમલાનું કારણ બની શકે છે. તે એકબીજા સાથે જોડાયેલું છે, ડિપ્રેશનને કારણે પણ આવું થઇ શકે છે.
વાઈના કારણે આત્મવિશ્વાસ ગુમાવ્યો
અભિનેત્રીએ સ્પષ્ટપણે સમજાવ્યું હતું કે પરિસ્થિતિ તેના આત્મવિશ્વાસ અને કામ કરવાની ક્ષમતાને કેવી રીતે અસર કરે છે. તેણીએ કહ્યું હતું કે, "મને વર્ગખંડમાં, બેકસ્ટેજ પર, શેરીઓમાં અને અન્ય સ્થળોએ હુમલા આવતા હતા, જેના કારણે આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો."
આ રોગે તેની કારકિર્દીને માઠી અસર કરી
કાંટા લગા પછી વાઈના હુમલાની તેની કારકિર્દી પર અસર વિશે વાત કરતા, શેફાલીએ કહ્યું, "કાંટા લગા કર્યા પછી, લોકોએ મને પૂછ્યું કે, હું કેમ વધારે કામ કરતી નથી. હવે હું કહી શકું છું કે હુમલાના કારણે જ હું વધુ કામ કરી શકતી ન હતી. મને ખબર નહોતી કે મને આગામી હુમલા ક્યારે આવશે... આ 15 વર્ષ સુધી ચાલ્યું.
શેફાલીને આ રોગ 9 વર્ષના ઇલાજ બાદ મટ્યો
આ જ ઇન્ટરવ્યુમાં, શેફાલીએ કહ્યું કે, તે નવ વર્ષથી હુમલાથી મુક્ત હતી. તેણીએ તેની સ્વસ્થતાનો શ્રેય એકંદર ઘરના પરિવારની સાર સંભાળ અને ભાવનાત્મક સમર્થનને આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, "મને મારા પર ગર્વ છે કારણ કે, મેં મજબૂત સપોર્ટ સિસ્ટમની મદદથી મારા ડિપ્રેશન, ગભરાટના હુમલા અને ચિંતાને કુદરતી રીતે નિયંત્રિત કરી છે."
શેફાલીનું શુક્રવારે નિધન થયું
શેફાલી જરીવાલાનું શુક્રવારે અવસાન થયું હતું. તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાનું કહેવાય છે. તેમની તબિયત લથડતાં તેમને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.