SS Rajamouli Controversial Statement: એસ એસ રાજામૌલી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેઓ ભારતીય સિનેમાના સૌથી સર્જનાત્મક ફિલ્મમેકર્સમાંના એક છે. તેમણે પોતાના શ્રેષ્ઠ કામનો પુરાવો 'બાહુબલી' અને 'આરઆરઆર' જેવી ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા આપ્યો છે. જોકે, ડિરેક્ટરે તાજેતરમાં એક નિવેદન આપીને પોતાના માટે મુશ્કેલીઓ ઊભી કરી લીધી છે.


રાજામૌલીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન તેમણે પોતાના કામ સાથે જ પોતાના વ્યક્તિગત જીવન વિશે પણ વાત કરી. તેમણે પોતે નાસ્તિક હોવા પર પણ નિવેદન આપ્યું. જોકે આ દરમિયાન નિર્દેશકે એક એવી વાત કહી દીધી જેના પર વિવાદ થઈ ગયો છે.


રાજામૌલી બોલ્યા-મને ભગવાન રામ કરતાં રાવણ વધારે ગમે છે


તાજેતરમાં એસએસ રાજામૌલીએ પ્રખ્યાત પત્રકાર અનુપમા ચોપરાને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આમાં તેમણે ભગવાન રામ કરતાં રાવણને વધારે પસંદ કરવાની વાત કહી. બાહુબલીના ડિરેક્ટરે કહ્યું કે, 'જ્યારે આપણે બધા લોકો નાના હતા ત્યારે બાળપણમાં આપણે પુસ્તકોમાં વાંચ્યું હતું કે પાંડવો સારા હતા અને કૌરવો ખરાબ હતા. આ જ રીતે પુસ્તકોએ ભગવાન રામને સારા બતાવ્યા હતા અને રાવણને ખરાબ બતાવ્યો હતો. જોકે, જેમ જેમ તમે મોટા થાઓ છો અને તેના વિશે વધુ વાંચીને માહિતી મેળવો છો તો આ બધું એકદમ ઊલટું લાગે છે'.


રાજામૌલીનું પસંદીદા પાત્ર પણ છે રાવણ


રાજામૌલીએ આગળ રાવણને પોતાનું પસંદીદા પાત્ર પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે મને ભગવાન રામ કરતાં રાવણ વધારે ગમે છે. મને વિલન ખૂબ જ શક્તિશાળી ગમે છે. રાવણનું પાત્ર મને ખૂબ ગમ્યું. મને લાગે છે કે ખલનાયક એવો હોવો જોઈએ, જેને હરાવવો ખૂબ મુશ્કેલ હોય'.


પત્નીના અકસ્માત પર ખૂબ રડ્યા હતા રાજામૌલી


રાજામૌલીએ પોતાની પત્નીના અકસ્માતની ઘટના પણ સંભળાવી. આ એ સમયની વાત છે જ્યારે તેઓ વર્ષ 2009માં આવેલી પોતાની ફિલ્મ 'મગધીરા'ની શૂટિંગ કરી રહ્યા હતા. ડિરેક્ટરે જણાવ્યું કે, 'નજીકની હોસ્પિટલ 60 કિ.મી. દૂર હતી. હું ડરેલો હતો. મારા મનમાં આ વિચાર આવ્યો કે 'શું હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું?' પરંતુ મેં એવું ન કર્યું. હું પાગલોની જેમ રડતો જતો હતો અને ડોક્ટરોને ફોન કરતો જતો હતો અને તે બધું કરી રહ્યો હતો, જેની જરૂર હતી'.