મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં રિયા ચક્રવર્તીની EDએ આજે આશરે 10 કલાક પૂછપરછ કરી હતી. જે બાદ રાત્રે 9 વાગ્યા આસપાસ તે ઈડીની ઓફિસમાંથી બહાર નીકળી હતી.


ઈડીના અધિકારીઓ દ્વારા રિયા, તેના ભાઈ શૌવિક અને પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને સવારે 11 વાગ્યે બલાર્ડ એસ્ટેટ વિસ્તારવામાં આવેલી ઓફિસમાં બોલાવાયા હતા. તેમને સોમવારે રજૂ થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બાદમાં રિયા અને રાજપૂતના કારોબારી પ્રબંધક શ્રુતિ મોદી પણ ઈડી ઓફિસ પહોંચ્યા હતા.



આ ચારેયની સાત ઓગસ્ટે પણ કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂછપરછ કરી હતી. શૌવિકની અત્યાર સુધીમાં આશરે 22 કલાકની પૂછપરછ કરવામાં આવી ચુકી છે. શૌવિક રાતભરની પૂછપરછ બાદ રવિવારે સવારે આશરે સાડા છ વાગ્યે ઈડી કાર્યાલયથી બહાર નીકળ્યો હતો. તેની શનિવારે બપોરે પૂછપરછ શરૂ થઈ હતી.

ઈડીના અધિકારીઓના જણાવ્યા મુજબ પૂછપરછ રિયાની આવક, રોકાણ, કારોબાર અને પ્રોફેશનલ ડિલ પર કેન્દ્રીત હતી. ઈડીની નજર શહેરના ખાર વિસ્તારમાં અને નવી મુંબઈમાં રિયા સંબંધિત સંપત્તિ અને તેના ખરીદ સ્ત્રોત પર છે.