મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે હવે તેના પિતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. સુશાંતના પિતા કેકે સિંહે પ્રથમ વખત કેમેરા સામે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુનેગારો ભાગી રહ્યા છે. પટના પોલીસ તમામની મદદ કરે. બિહારથી તપાસ માટે મહારાષ્ટ્ર તપાસ કરવા ગયેલી બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે ટકરાવની સ્થિતિ છે ત્યારે જ તેમનું આ નિવેદન સામે આવ્યું છે.


કેકે સિંહે કહ્યું, પ્રથમ 40 દિવસ સુધી મુંબઈ પોલીસે કોઈ તપાસ નહોતી કરી. હવે જ્યારે ગુનેગારો ભાગી રહ્યા છે ત્યારે તપાસમાં બિહાર પોલીસની મદદ કરો. 25 ફેબ્રુઆરીએ મેં બ્રાંદ્રા પોલીસને આગ્રહ કર્યો હતો કે મારા દીકરાનો જીવ ખતરામાં છે, 14 જૂને જ્યારે તનો જીવ ગયો તો અમે 25 ફેબ્રુઆરીએ નામિત લોકો સામે કાર્યવાહી કરવા કહ્યું પરંતુ 40 દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી.

કેકે સિંહે આગળ કહ્યુ, જે બાદ મેં પટના જઈ FIR નોંધાવી. પટના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પરંતુ હવે ગુનેગારો ભાગી રહ્યા છે. પટના પોલીસની મદદ કરો તેમ અમે ઈચ્છીએ છીએ.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસને લઇને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસમાં તકરાર વધી રહી છે. કેસની તપાસ કરવા રવિવારે મુંબઇ પહોંચેલા પટના એસપી વિનય તિવારીને જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી છે.

પટના એસપી વિનય તિવારની જબરદસ્તીથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ક્વૉરન્ટાઇન કરાયા બાદ બિહારના ડીજીપીએ ખાસ બેઠક બોલાવી છે. એટલુ જ નહીં હવે બિહારના મુખ્યમંત્રીએ પણ બિહાર પોલીસની કામગીરીને યોગ્ય ગણાવી છે. નીતિશ કુમારે કહ્યું કે, બિહાર પોલીસ જવાબદારીથી કામ કરી રહી છે, આવા સમયે એસપીને ક્વૉરન્ટાઇન કરવુ યોગ્ય નથી.