મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા રિપોર્ટ મંગળવારે સામે આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે સુશાંત સિંહના શરીરમાં કોઈપણ પ્રકારનું શંકાસ્પદ રસાયણ કે ઝેર મળી આવ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ વિસરાને મુંબઈની જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યો હતો.


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું, મોત પહેલા કોઈપણ સંઘર્ષના સંકેત મળ્યા નથી. તેના નખમાંથી પણ કંઈ નથી મળ્યું. સુશાંત સિંહનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ગત સપ્તાહે આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સુશાંતનું મોત ફાંસીના કારણે શ્વાસ રૂંધાવાથી તયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટને પાંચ ડોક્ટર્સની ટીમ તૈયાર કર્યો છે.

મુંબઈ પોલિસ સુશાંત સિંહના મોતના કારણની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે તેના સહ કલાકાર સંજના સાંધીએ પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. સંજનાએ સુશાંત સાથે દિલ બેચેરામાં અભિનય કર્યો છે. આ કેસમાં પોલીસ સુશાંતના પરિવાર અને મિત્રો સહિત 28 લોકોના નિવેદન નોંધી ચુકી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું, પોલીસ સુશાંત સિંહની આત્મહત્યા પાછળના કારણોને સમજવાની કોશિશ કરી રહી છે અને શું તેની પાછળ પ્રોફેશનલ હરિફાઈ કે કોઈ વ્યક્તિ સુશાંતના મોત માટે જવાબદાર હતા તેની તપાસ કરી રહી છે.