મુંબઈ: જાણીતી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી એક એન્ટ્રી થવા જઈ રહી છે. એ છે ‘દયાબેન’ની. શોના મેકર્સે ‘દયાબેન’ની એન્ટ્રી માટે તૈયારી કરી લીધી છે. દયાબેન તરીકે બીજી કોઈ એક્ટ્રેસ નહીં પરંતુ દિશા વાકાણી જ જોવા મળશે તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિશા વાકાણી નવરાત્રી દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં વાપસી કરવાની છે. દિશા અને સીરિયલના પ્રોડ્યુસર આસિત મોદી વચ્ચેના મતભેદો હતાં તે હવે દૂર થઈ ગયા છે. દિશા શોના મેકર્સની શરતો પ્રમાણે કામ કરવા માટે માની ગઈ છે. દિશાએ શોનો કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો છે. એટલે કે, ઓક્ટોબર મહિનામાં ફરીથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘હે! મા માતાજી’ સાંભળવા મળી શકે છે.

દિશા વાકાણી લગભગ દોઢ વર્ષ પહેલા મેટરનીટી લીવ પર ગઈ હતી ત્યારથી સીરિયલમાં દયાબેનની ગેરહાજરી જોવા મળી રહી છે. આ દરમિયાન દિશા શોમાં વાપસી કરશે કે નહીં તે વિશે જાતભાતની અટકળો ચાલતી હતી. આ સાથે જ દિશાના બદલે કોઈ બીજી એક્ટ્રેસ દયાબેનનું પાત્ર ભજવશે તેવા અહેવાલો પણ સામે આવ્યા હતા.

થોડા દિવસથી સીરિયલમાં પણ દયાબેનને યાદ કરવામાં આવી રહ્યા છે. એક એપિસોડમાં જેઠાલાલે પણ કહ્યું હતું કે, દયા જલદી જ આવશે. ત્યારે આ બધું જોતાં લાગી રહ્યું છે કે દિશાની એન્ટ્રી નવરાત્રીમાં થઈ જ જશે. હવે, દિશા વાકાણી પાછી આવી રહી છે ત્યારે દર્શકોમાં સીરિયલ જોવાનો ઉત્સાહ વધી જશે.