અલ્પેશ ઠાકોરે કેમ વાયબ્રન્ટનો વિરોધ પાછો ખેંચ્યો, સરકારે શું ખાતરી આપવી પડી ? જાણો શું કહ્યું પ્રદીપસિંહે ?
ગાંધીનગર: રાજ્યમાં લાખો યુવાનોને રોજગારી આપવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર આંદોલન ચલાવી રહ્યા હતા. આ બેરોજગાર યાત્રા દરમિયાન ગુજરાતામાં લાખો યુવાનો બેરોજગાર હોવાથી વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરાશે અને પીએમ નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવાશે તેવી જાહેરાતો કરી હતી. જોકે, સમિટના આગલા દિવસે અચાનક સમિટનો બહિષ્કાર નહીં કરવાની જાહેરાત કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં અનેક વિદેશી મહેમાનો સમક્ષ ગુજરાતની અસ્મિતા માટે વિરોધ ન કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જો માર્ચ મહિના સુધી કોઇ ઉકેલ નહીં આવે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.
અલ્પેશ ઠાકોરે ગઈ કાલે રવિવારે સાંજે વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરવાનું એલાન પાછું ખેંચી લીધું છે. આ નિર્ણય તેમણે રાજ્ય સરકાર સાથે રવિવારે મીટિંગ કર્યા પછી જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી કાર્યાલયના સનદી અધિકારી કે. કૈલાસનાથન સાથે મીટિંગ થઈ હતી. તેમણે માર્ચ મહિના સુધી બેરોજગાર યુવાનો મામલે કોઇ યોગ્ય નિર્ણય સરકાર તરફથી લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરે મીટિંગ કરી તેની જાણ ન હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમને વિશ્વાસમાં લેવાયા નથી. પાસના નેતા વરૂણ પટેલે પણ સરકાર સાથે તેમની મીટિંગ અંગે તેમને કોઇ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ અલ્પેશ ઠાકોરના આંદોલનમાં જોડાવાની જાહેરાત કરનારા દલિત આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકાર સાથેની મીટિંગ અંગે અમને કોઈ જાણ કરાઈ નથી. દલિતો તેમનું આંદોલન ચાલુ રાખશે અને સોમવારે આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે.
આ મીટિંગ અંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતના ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોની ભરતી થાય અને 85 ટકા રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. આ માટે રાજ્યના શ્રમ રોજગાર વિભાગ તરફથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઓબીસી આંદોલનકારીઓએ કરેલી માગણી પ્રત્યે સરકાર સંવેદનશીલ છે.